ભારતમાં ગરીબો શિક્ષણથી કેમ છેટાં થઈ રહ્યાં છે?

Source: ગુજરાત ટુડે

આ ગંભીર વિષય પર ગુરદીપસિંહ સપ્પલ લખે છે કે, નહેરુના સમયમાં ભારતમાં ગરીબો શિક્ષણને મહાન સ્તરીકરણ માનીને એક સરળ ક્રાંતિકારી વિચારમાં વિશ્વાસ રાખતા હતા, 'પઢ જાયેંગે, તો બઢ જાયેંગે' ('ભણીશું તો આગળ વધીશું'). તેમના માટે શિક્ષણ જાતિ, ગરીબી, જન્મના વારસાગત ગેરફાયદામાંથી બહાર નીકળવાનો માર્ગ હતો. ભારતના બંધારણમાં પણ ગરીબ અને વંચિત નાગરિકો માટે શિક્ષણને વચન તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.

એક સમયે જાહેર યુનિવર્સિટીઓ, IITs, IIMs, સરકારી મેડિકલ કૉલેજો ફક્ત સંસ્થાઓ નહોતી, તે સામાજિક ગતિશીલતાની ભૌતિક રચના હતી. પરંતુ નીતિગત વલણના પરિણામે આજે ભારતનાં ગરીબ અને વચિત લોકોનો શિક્ષણમાં જે વિશ્વાસ હતો તે ડગમગી રહ્યો છે.

બે દાયકા પહેલાં શિક્ષણના ખાનગીકરણના વ્યાપમાં જે વધારો થયો હતો, તેને ભાજપના ૧૨ વર્ષના શાસનમાં જાણી જોઈને વેગ આપવામાં આવ્યો છે. વ્યૂહરચના એ રીતે કરવામાં આવી કે શિક્ષણ ગરીબોની પહોંચથી દૂર થઈ જાય. એક સ્થિર પગાર સાથે, શિક્ષણનો અતિ મોંઘો ખર્ચ આજે માણસને વધારે ને વધારે ગરીબ બનાવી રહ્યો છે.

ઉચ્ચ શિક્ષણમાં ખાનગી મૂડીનો પ્રવેશ ૧૯૯૦ના દાયકાના અંતમાં શરૂ થયો અને ૨૦૦૦ના દાયકા સુધીમાં તો તેમાં વેગ આવી ગયો. ગણતરી એવી હતી કે, ખાનગી મૂડીના પ્રવાહથી, શિક્ષણમાં વધુ સારી ગુણવત્તા મળશે પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં તે ગણતરી તદ્દન મૂર્ખામીભરી સાબિત થઈ છે.

નોંધણીની દૃષ્ટિએ ભારતની ઉચ્ચ શિક્ષણપ્રણાલી વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આપણી પાસે ૬૦,૦૦૦થી વધુ કૉલેજો અને ૧૨૦૦ જેટલી યુનિવર્સિટીઓ છે, જેમાં આશરે ૪.૫ કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ આંકડા એ દર્શાવે છે કે, ભારત દેશ, જે જ્ઞાનની મહાસત્તા બનવાની ઇચ્છા રાખે છે તે એવા સ્નાતકો ઉત્પન્ન કરી રહ્યો છે જેમને નોકરીઓ મળતી નથી અને એવા પ્રતિભાશાળી શોધકો ઉત્પન્ન કરી રહ્યો છે જેઓ વ્યાપારની કસોટીમાં નિષ્ફળ જાય છે. આ ફરીથી ઘડાયેલી શિક્ષણની ડિઝાઈન, મહત્ત્વપૂર્ણ ફેકલ્ટીઓને નિસ્તેજ બનાવે છે અને બહુવિધ કસોટીઓ પાસ કરનારા વિદ્યાર્થીઓને સફળ ગણે છે.

ઉચ્ચ શિક્ષણનું અર્થતંત્ર

ખાનગીકરણની સૌથી મોટી અસર જાહેર હિતનું ખાનગી વસ્તુમાં રૂપાંતર થયું તેમાં થઈ છે. ખાનગી સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ વધી રહી છે જ્યારે જાહેર સંસ્થાઓ મોટાભાગે સંસાધનોની તંગી ભોગવી રહી છે.

ઉચ્ચ કક્ષાની સંસ્થાઓની ફીમાં ખૂબ જ વધારો થયો છે. ઉદાહરણ તરીકે IIM-A (અમદાવાદ)ની ટ્યુશન ફ્રી ૨૦૦૭માં ૪ લાખ રૂપિયાથી વધીને ૨૦૨૧માં ૨૭ લાખ રૂપિયા થઈ ગઈ. IIT બોમ્બેની ફી ૨૦૦૮માં ૧.૦૮ લાખ રૂપિયાથી વધીને ૨૦૨૪-૨૫માં ૮ લાખ રૂપિયા થઈ ગઈ છે. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આજે સરેશશ બી.એ.ની નિયમિત ડિગ્રીની કિંમત ૩-૬ લાખ રૂપિયા છે; બી-ટેકની ૮-૨૦ લાખ રૂપિયા છે. મેનેજમેન્ટ ડિગ્રીની કિંમત ૫-૩૦ લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. ઊંચા ખર્ચનો બોજો વિદ્યાર્થીઓ પર નાંખવામાં આવ્યો છે.

વાત ફક્ત ઊંચી ટ્યુશન ફીની નથી. ભારતની ઉચ્ચ શિક્ષણ-પ્રણાલીને પ્રવેશબિંદુએથી જ અનિયંત્રિત કોચિંગ ઉદ્યોગ દ્વારા કબજે કરી લેવામાં આવી છે. એન્જિનિયરિંગ અને મેડિસિન માટેની બે રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ, JEE અને NEET, શાળાના અભ્યાસક્રમથી એટલી અલગ છે કે આ પરીક્ષાઓ કોચિંગ વિના પાસ કરવી લગભગ અશક્ય છે. જે પ્રવેશ પરીક્ષાને, શૈક્ષણિક પ્રણાલીમાંથી પ્રતિભા પસંદ કરવા માટે માનવામાં આવે છે, તે પોતે જ એક અલગ શૈક્ષણિક પ્રણાલી બની ગઈ છે.

કોચિંગ સંસ્થાઓમાંથી જી.એસ.ટી. કલેક્શન ૨૦૧૯-૨૦માં લગભગ રૂા. ૨,૨૦ કરોડથી વધીને ૨૦૨૩-૨૪માં રૂા. ૫,૫૦૦ કરોડથી વધુ થયું હતું. આ શિક્ષણનો એક એવો ઉદ્યોગ છે જે ઔપચારિક શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતાથી નફો મેળવે છે; તે સંસ્થાકીય અપૂર્ણતા પર બનેલ એક વ્યવસાય મોડેલ છે.

કોચિંગ ઔદ્યોગિક સંકુલ ભારતને શિક્ષિત કરી રહ્યું નથી; તે શાળાઓમાં શું શીખવવામાં આવે છે અને પ્રવેશ પરીક્ષાઓની માંગ શું છે તે વચ્ચેના અંતરનો ઉપયોગ કરીને ચિંતાતુર પરિવારો પાસેથી સંપત્તિ ખંખેરી રહ્યું છે.

શિક્ષણ : ખોટ કરતું એક રોકાણ

મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારનાં દસ વર્ષમાં ભારતમાં નર્સો, એન્જિનિયરો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં ત્રણથી પાંચ ગણો વધારો થયો. આ સંજોગોમાં, શિક્ષણના રોકાણમાં 'વળતર' ઉદાર હતું શિક્ષણ અને તેના વળતર વચ્ચેનો સામાજિક કરાર અકબંધ હતો.

તેનાથી વિપરીત વર્તમાન શાસનકાળમાં લગભગ એક દાયકાથી, નવા સ્નાતકોનો પ્રારંભિક પગાર વાર્ષિક રૂા. ૩-૪ લાખ પર સ્થિર રહ્યો છે (જો તેમને નોકરી મળે તો), જ્યારે શિક્ષણનો ખર્ચ ત્રણથી સાત ગણો વધી ગયો છે.

ઓલ-ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન (AISHE) ૨૦૨૧-૨૨ના છેલ્લા ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે, ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી ૪.૩૩ કરોડ થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સરેરાશ આ જ શ્રેણીમાં રહી છે. ૨૦૨૩માં, ફક્ત ૮૧.૨ લાખ લોકોને નોકરી મળી હતી, જેમાં આઈ.ટી. સેવાઓ અને બેંકિંગ જેવાં ક્ષેત્રોમાં ૩૯.૧ લાખનો સમાવેશ થાય છે.

ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ ૨૦૨૫માં બી.ટેક. સ્નાતકો માટે રોજગાર-ક્ષમતા ૬૦ ટકા અને આર્ટ્સ સ્નાતકો માટે ૪૫ ટકા રાખવામાં આવી છે. ૨૦થી ૨૪ વર્ષની વયના લગભગ ૪૫ ટકા સ્નાતકો બેરોજગાર છે. ૨૦૨૪માં, પાંચમાંથી બે આઈઆઈટી સ્નાતકો, અથવા ૪૦ ટકાને નોકરી આપવામાં આવી ન હતી.

દરમિયાન, ઘણાં ક્ષેત્રોમાં કોર્પોરેટ નફામાં પાંચ ગણો વધારો થયો છે. આ નફામાં મજૂરી કરનારાઓની મહેનત હોવા છતાં તેમના વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ડિઝાઈનને કારણે વેતન-વૃદ્ધિથી અલગ થઈ ગયું છે. શ્રમસુરક્ષા વ્યવસ્થિત રીતે નબળી પડી ગઈ છે. ફુગાવાને વળતર આપવા માટે વેતનના સ્તરમાં વધારો કરવામાં આવ્યો નથી અને રોજગાર 'કેઝ્યુઅલાઈઝ' કરવામાં આવ્યો છે. ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે અને ગરીબ સ્નાતકો તેની ડિગ્રી સાથે ભારે દેવું ભોગવી રહ્યા છે.

આ બજારનું પરિણામ નથી; તે એક નીતિગત પરિણામ છે. જ્યારે કોર્પોરેટ નફો પાંચ ગણો વધે છે અને પગારધોરણ બદલાતું નથી, ત્યારે આર્થિક લાભનું વિતરણ એક એવી સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે જેણે કોનાં હિતોને પ્રાથમિકતા આપવી અને તેનું રક્ષણ કરવું તે પસંદ કર્યું છે.

અધિકૃત કૌભાંડ

જો શૈક્ષણિક સંસ્થા પ્રતિષ્ઠિત હોય, જો મળનારી નોકરીનો દરજ્જો અને પગારધોરણ આકર્ષક હોય તો મહત્ત્વાકાંક્ષી પરિવારો ડિગ્રી માટે કોઈ પણ ફી ચૂકવવા તૈયાર થશે. ખાનગી યુનિવર્સિટીઓ લોકોનું આ મનોવિજ્ઞાન બરાબર સમજી ચૂકી છે. તેમની આ દુખતી નસને પારખીને ડિઝાઈનર અભ્યાસક્રમોને ફેન્સી નામોથી તૈયાર કરવામાં આવી રહ્યા છે અને પ્રપંચી પ્લેસમેન્ટ આંકડાઓ બતાવીને આક્રમક રીતે જાહેરાત કરવામાં આવે છે.

ભોળા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ઘણી વાર આવા કૌભાંડી અભ્યાસક્રમો તરફે અંજાઈ જાય છે. એક્રેડિટેશન રેટિંગ અને NIRF (નેશનલ ઇન્સ્ટિટયૂટ રેકિંગ ફ્રેમવર્ક) રેટિંગ બહુ મદદરૂપ હોતા નથી. એક્રેડિટેશન આર્કિટેક્ચર પોતે જ કથળી ગયેલું છે.

માર્ચ, ૨૦૨૫માં, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન (NBA) સંપૂર્ણપણે વણચકાસાયેલ, સ્વ-સબમિટ કરેલા ડેટા પર આધાર રાખતું હોવાથી NIRF રેન્કિંગ પર સ્ટે મૂક્યો હતો. ૨૦૨૪ના એક ખુલાસામાં ૫૦થી વધુ સંસ્થાઓ ખોટી રીતે માન્યતા-પ્રાપ્ત હોવાની જાહેરાત કરતી હતી અથવા બનાવટી પ્રમાણપત્રોનો ઉપયોગ કરતી હતી.

સરકારના પોતાના આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં ઉચ્ચ શિક્ષણમાં નિયમનકારી પારદર્શિતાની જરૂરિયાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ વર્તમાન માળખું નિષ્ફળ હોવાની એક કબૂલાત છે.

શિક્ષણમાં રોકાણ કરવાથી આજે પરિવારો ગરીબ બની રહ્યા છે. નોકરી મેળવનારા નસીબદાર લોકો એવા પગાર પર કામ કરે છે જે પગારમાં તેમણે શિક્ષણ માટે ચૂકવેલી ફીની ભરપાઈ કરવામાં વર્ષો લાગે છે.

યુપીએના શાસનકાળ દરમિયાન, એક આખી પેઢી ઈ.એમ.આઈ. પર પોતાનાં ઘરો ખરીદી શકી હતી. પરંતુ આજે યુવા કર્મચારીઓ માટે પોતાનું ઘર ખરીદવું અશક્ય અને મુશ્કેલ છે.

જ્યારે ગરીબ અને વંચિત લોકો એવું તારણ કાઢે છે કે, શિક્ષણ હવે પોસાય તેવું રહ્યું નથી, ડિગ્રીથી કોઈ ફરક પડવાનો નથી, મળનારા પગારમાંથી ક્યારેય શિક્ષણ પર કરેલો ખર્ચ વસૂલ કરી શકાશે નહીં, ત્યારે આવા લોકો, તેમનાં બાળકોને યુનિવર્સિટીઓમાં મોકલવાનું બંધ કરવું જેવા એક તર્કસંગત નિર્ણય તરફ આકર્ષાય છે.

જ્યારે આ વિચાર ગરીબ અને વંચિત લોકોમાં સર્વસામાન્ય થઈ જશે, ત્યારે તેમનાં બાળકો વારસાગત, જાતિ આધારિત વ્યવસાયોમાં પાછાં ફરવા મજબૂર થશે. ભારતમાં સામાજિક ગતિશીલતા માટે તમામ નાગરિકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેવું બંધારણમાં અપાયેલું વચન આપોઆપ ખતમ થઈ જશે.

એકત્ર ફાઉન્ડેશન