એક રાજદ્વારી તરીકે વિદેશોમાં મારી નિમણૂકો થઈ છે અને મેં વિશ્વની મુસાફરી કરી છે. પાસપોર્ટમાં મને ભારત-ગણરાજ્યનો નાગરિક, એક ઉભરતી શક્તિ અને મહાન સભ્યતાનો પ્રતિનિધિ ગણાવવામાં આવ્યો. આ મારા માટે ગર્વનો વિષય રહ્યો છે. એટલા માટે જ જ્યારે હાલમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, તો હું મૂંઝવણમાં મુકાઈ ગયો.
સરકારના પોતાના કારણો હોઈ શકે છે, પરંતુ દાયકાઓ સુધી ભારતીયો માનતા હતા કે પાસપોર્ટ તેમની નાગરિકતાની ઔપચારિક પુષ્ટિ છે. તેને મેળવવા માટે અરજદારોએ દસ્તાવેજો રજૂ કરવા પડે છે. પોતાની ઓળખ સ્થાપિત કરવી પડે છે અને પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડે છે. પાસપોર્ટ માત્ર એટલા માટે નથી આપવામાં આવતો કે કોઈ વ્યક્તિ વિદેશ યાત્રા કરવા માગે છે, પરંતુ એટલા માટે આપવામાં આવે છે કે રાજ્યસત્તા આ વાતથી સંતુષ્ટ છે કે અરજદાર ભારતીય નાગરિક છે. વાસ્તવમાં, પાસપોર્ટ એક્ટની કલમ 6(2)(A)માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પાસપોર્ટ માત્ર ભારતના નાગરિકને જ આપી શકાય છે.
આ દસ્તાવેજનું ભાવનાત્મક મહત્ત્વ તેની વહીવટી ઉપયોગિતા કરતાં પણ વધુ હતું. તે વ્યક્તિ અને રાષ્ટ્ર વચ્ચેના સંબંધનું પ્રતિનિધિત્વ કરતું હતું. એ વાસ્તવિકતા છે કે તથ્યો છુપાવીને, બનાવટી દસ્તાવેજોથી કે પોતાની ઓળખ વિશે ખોટી માહિતી આપીને છેતરપિંડીથી પણ પાસપોર્ટ મેળવી શકાય છે. આવી પરિસ્થિતિઓમાં રાજ્યસત્તાને પાસપોર્ટ રદ કરવાનો અને દોષિત સામે કાનૂની કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે. પરંતુ આ આધારે એ ધારણાને ફગાવી દેવી જોઈએ નહીં કે કાયદેસરની પ્રક્રિયા હેઠળ આપવામાં આવેલો એક માન્ય પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો છે.
વોટર આઈડી પણ છેતરપિંડીથી મેળવી શકાય છે. રેશનકાર્ડમાં પણ ગેરરીતિ થઈ શકે છે. આધાર કાર્ડનો પણ દુરુપયોગ થઈ શકે છે. મિલકત સંબંધિત દસ્તાવેજોની બનાવટ થઈ શકે છે. ભારતમાં દસ્તાવેજીકરણની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં આ પ્રશ્ન વધુ ચિંતાજનક બની જાય છે. આધાર નાગરિકતાનો પુરાવો નથી. મતદાતા ઓળખપત્ર નાગરિકતાનો પુરાવો નથી. રેશનકાર્ડ નાગરિકતાનો પુરાવો નથી. જન્મ પ્રમાણપત્રોને પણ ઘણીવાર પ્રક્રિયાત્મક આધારો પર પડકારવામાં આવે છે. હવે જો પાસપોર્ટ પણ નાગરિકતાનો પુરાવો નથી, તો પ્રશ્ન એ થાય છે કે નાગરિકતાનો પુરાવો છે શું?
કોઈપણ આધુનિક રાષ્ટ્ર અસ્પષ્ટતાના આધારે કામ ન કરી શકે. નાગરિકતા કોઈ હવામાં રહેલી વસ્તુ નથી. આના પર જ આખરે તમામ બંધારણીય અધિકારો આધારિત હોય છે. જો કોઈ પણ દસ્તાવેજ આ સ્થિતિને નિર્ણાયક રીતે સ્થાપિત નથી કરતો. તો જવાબદારી વ્યક્તિ પર આવી જાય છે. ક્યાં તો રાજ્યસત્તાએ જ પોતાની સંસ્થાઓ અને દસ્તાવેજો દ્વારા નાગરિકની નાગરિકતા પ્રમાણિત કરવી જોઈતી હતી. પરંતુ તેના બદલે નાગરિકને વારંવાર એ સાબિત કરવા માટે મજબૂર થવું પડે છે કે તે આ જ દેશનો છે.
જ્યારે રાજ્યએ દસ્તાવેજો આપવા છતાં- જે પરંપરાગત રીતે નાગરિકતા પ્રમાણિત કરતા આવ્યા છે- નાગરિકતા પર પ્રશ્ન ઉઠાવે છે, ત્યારે નાગરિક અનિશ્ચિતતાની સ્થિતિમાં આવી જાય છે. તેની પાસે દસ્તાવેજો તો હોય છે, પણ તે અપૂરતા સાબિત થાય છે. તે પ્રક્રિયાઓનું પાલન કરે છે, પરંતુ કોઈ નિશ્ચિતતા મળતી નથી. જો નાગરિકતા વિવાદનો વિષય બનેલી રહે છે. તો અધિકારીઓને વધારાના પુરાવા માંગવાનો વધુ અધિકાર મળી જાય છે. નાગરિકો મનસ્વી અર્થઘટનો અને અમલદારશાહીના સંતોષ પર નિર્ભર થઈ જાય છે.
અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં પાસપોર્ટને નાગરિકતાના મજબૂત પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. કારણ કે તેને આપતા પહેલાં નાગરિકતાની ચકાસણી કરવામાં આવે છે. વાસ્તવિક ઉકેલ દસ્તાવેજ આપતી વખતે તપાસ પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવામાં, વેરિફિકેશન મિકેનિઝમમાં સુધારો કરવામાં, વિવિધ ડેટાબેઝનું એકીકરણ કરવામાં તથા છેતરપિંડી સામે કડક સજા લાગુ કરવામાં રહેલો છે. આ ચર્ચાના કેન્દ્રમાં વધુ એક પ્રશ્ન રહેલો છે. લોકશાહીમાં નાગરિકે કાયદેસરતાની પૂર્વ-ધારણા સાથે જીવવું જોઈએ કે શંકાની?

