ચંદુભાઈ મહેરિયા મારા કરતા ઉંમરમાં દોઢ-બે મહિના મોટા છે અને એમના આત્મકથનાત્મક અંગ્રેજી અનુવાદિત પુસ્તક 'બારી વગરના ખોરડાં'માં એમના ખાસ મિત્રોમાં મારુ નામ ન ઉમેરે તો પણ અમે 1981ની સાલથી ખાસ મિત્રો અને સંઘર્ષના સાથીઓ રહ્યા છીએ.
મોટાભાગે હાલના સમાજશાસ્ત્રના પ્રાધ્યાપકો પુસ્તકીય જ્ઞાન-સંશોધનને આધારે તજજ્ઞતાને વરે છે, પણ ચંદુભાઈ તેમની 'અધૂરી' આત્મકથામાં (એમની સર્વાંગી આત્મકથા એક નાનકડા પુસ્તકમાં સમાવવી શક્ય નથી) એક નવો દ્રષ્ટિકોણ સમાજશાસ્ત્રમાં લાવ્યા છે; ભેદ-અભાવ-ઊઠવેઠના ત્રણ પેઢીના જાણે વારસાગત, વ્યવસ્થાગત અનુભવના આધારે કોઠે પડેલી સમાજવ્યવસ્થાને સમજવાની એક વૈજ્ઞાનિક રીત.
આ રીતને, શોષિતો મધ્યે કેવી વિશેષ રીતે વ્યૂહાત્મકતાથી કામ કરવું જેથી તેઓ સભાનતાને વરે તે અંગેનું અદ્ભુત આલેખન બ્રાઝિલના શિક્ષાવિદ પાઉલો ફ્રેઈરેના પુસ્તક 'પેડાગોજી ઓફ ધી ઓપ્રેસ્ડ'માં જોવા મળે છે. કાશ, ગરીબી-અસ્પૃશ્યતા-ભેદભાવ-શોષણ-કોમવાદ કોને કહેવાય તે વિદ્યાર્થીઓને શાળા-કૉલેજમાં ભણાવવા કે અભ્યાસક્રમના પુસ્તકો લખવા, જેને આ સર્વનો પ્રત્યક્ષ અનુભવ છે તેમને આમંત્રણ આપવામાં આવતું હોત તો ભારતમાં સામાજિક ન્યાયની ચળવળ આઝાદીના આઠ દાયકા બાદ, હાલ જેટલી નિરાશાજનક છે, તેટલી હદે ન હોત.
ચંદુભાઈનો જે ચાલીઓ મધ્યે ઉછેર થયો અને જ્યાં એમનું બાળઘડતર થયું તેમાં દલિત-મુસ્લિમ-અન્ય પછાત વર્ગો સાથે રહેતા હતા એ વાક્ય સડસડાટ વાંચી જવાથી આજની પેઢી, એ આશ્ચર્ય પામવાનું જરૂર ચુકી જશે કે, 'શું ગાંધીના કે ગાંધી પહેલાંના ગુજરાતમાં આ શક્ય હતું? અને હોય તો કઈ રીતે શક્ય હતું?'
રોટલાની દોજખ, સવિશેષ વંચિતોને ધર્મ-જ્ઞાતિના વાડા તોડી સંગઠિત થવા નહિ તો કમ સે કમ સાથે રહેવા મજબુર કરતી હતી. આઝાદી બાદ ભારત-પાકિસ્તાનના ભાગલાની વરવી વાસ્તવિકતા વચ્ચે ધર્મ-જ્ઞાતિ પરનું આ આર્થિક-સામાજિક- સાંસ્કૃતિક (નાતાલના -ગરબા- (?)માં હિંદુઓ પણ જોડાય અને મુસ્લિમોના તાજિયામાં હિંદુઓ પોતાના બાળકોને આશીર્વાદિત કરવા તાજીયા નીચેથી કાઢે અને વધારામાં શરબતની મઝા) સંગઠન, એ કહેવાતા બિનસાંપ્રદાયિક રાજકારણીઓ માટે ચિંતાનો મોટો વિષય હતો. એટલે એવું શું થયું કે જ્ઞાતિ આધારિત અનામત જેના લાભાર્થી આ ચાલીઓમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી નજીવી સંખ્યામાં હોવા છતાં, 'અનામત આંદોલનના પડઘારુપે વસ્તી ધર્મ-જ્ઞાતિ આધારિત વાડાઓમાં બંધારણના આદર્શોથી વિરુદ્ધ, પ્રજાસમૂહને સ્થિર-બંધિયાર કરવાનું નનામું અને ગોપનીય આંદોલન આઝાદીના સાડા ત્રણ દાયકા બાદ સફળ બન્યું, અને શહેરનો સામાજિક-સાંસ્કૃતિક નકશો બદલાઈ ગયો તે ચંદુભાઇએ આગવી અદાથી સમજાવ્યું છે. ગુજરાતમાં શહેરનું સમાજશાસ્ત્ર ગામડાનાં સમાજશાસ્ત્ર કરતાં ખાસ્સું ભિન્ન છે. જોકે, આજે તો દીવો લઈને આપણે કયા 'ગામ-શહેર-લત્તા-ગલી'ના નામ બદલવાના છે, તે રાજકીય-ધાર્મિક ટ્રેન્ડ બની ગયો છે.
પુસ્તકમાં શીખવા જેવી વાતો, નવીન વાતો, દલિત-ગરીબોની મનોદશા અને સંઘર્ષને ઉજાગર કરતી વાતો, પાને-પાને જોવા મળશે અને તે બધા અંગે હું અહીં લખવા જાઉં તો નવું પુસ્તક બને.
એક મહત્ત્વની વાત યુવાવસ્થાની છે. આ ગાળો રોમાન્સ-ગુલાબી સપનાં સેવવાનો અને સ્વસ્થ મનોવૈજ્ઞાનિક જાતીય ઓળખ ઉભી કરવાનો છે, જેના આધારે પુખ્તાવસ્થાની બહુમુખી જવાબદારીઓ સંભાળી શકાય. ચંદુભાઇના જીવનમાં એ શક્ય ન બની શક્યું કારણ એમની કૌટુંબિક સ્થિતિ તેમને પાણીના સરોવરમાં મુકેલ બે ત્રાજવામાં પગ ટેકવી, નીચે પાણીમાં જોઈ ત્રાજવાની દંડિકાની ટોચે રહેલ માછલી વીંધવા મજબુર કરતી હતી. જે દરિદ્ર હાલત છે તેના વલય-પ્રવાહમાં બહુમત લોકોની જેમ તણાતા રહેવું અને એના માટે 'લલાટના લેખ'ને જવાબદાર ઠેરવતી પરંપરાઓનો મહિમાગાન કરવો તે તો અત્યંત સહેલો અને ચીલાચાલુ રસ્તો છે; જે આજના સુખી ઘરના 'દલિતો' પણ કરે છે, ગરીબી-ભેદ-અભાવની સંપૂર્ણ ગેરહાજરીમાં.
પણ ચંદુભાઇના 'બા', (પિતા-બાપુ), 'રામા ભગત'નું હુલામણું નામ ધરાવતા દલિતજનની નાસ્તિક બનવા સુધીની સોચી-સમઝી કૂચનો ઇતિહાસ રસપ્રદ છે. નાનપણમાં ગોઠિયા સાથે માદરેવતનમાં ગામકચેરી સુધી રમવા જવાની હિમ્મત દાખવવા બદલ મુખીના હાથની બરડે ખાધેલી થપાટ અને જાતિસૂચક ગાળનો બદલો, પ્રતિશોધ, એમને એ જીવનનિર્ધારઃ પર લઇ આવી કે 'એક વાર મારા છોકરાં ગામની નહિ પણ ગાંધીનગરની કચેરીનો ઉંબરો વટી જશે'. હાથ પર 'રામ'ના છૂંદણાં પર ખ્રિસ્તી ધર્મ અંગીકાર ન કરવા છતાં, ક્રુસનું છૂંદણું છૂંદાવવું એ વણલખ્યો-વણવર્ણવ્યો, આત્મ-મન્થનીય વિદ્રોહ, જ્ઞાતિભેદની નાગચૂડમાંથી સ્વમુક્તિના સંઘર્ષની મૂક ગાથા છે. ડૉ આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે તેમની સાથે જોડાયેલા દલિતોએ દીક્ષાગ્રહણના કાર્યક્રમ બાદ પાછા વળતાં પોતાના ઘરમાં રહેલી દેવ-દેવીઓની મૂર્તિઓ નદી-નાળામાં પધરાવેલી કે ઘણાએ એમને ભંગાવી એમાંથી ભીમ-ભજનમાં કામ લાગે તે માટે મંજીરા બનાવડાવેલા તેનો ઇતિહાસ મારા સાથે મિત્ર પ્રો. સુખદેવ થોરાટ પાસેથી સાંભળેલો. રામાભગત, એથી આગળ વધી ડૉ. આંબેડકર વિચારધારામાં કેટલી હદે ભળ્યા કે દારુણ ગરીબી, મળમૂત્રની તીવ્ર ગંધનાં પડખામાં આવાસ, સાવ નિરક્ષર પત્ની, નવ-નવ પેટનું લાલનપાલન કરવાની જવાબદારી માંહે, ઘરમાં પતિ-પત્ની વચ્ચે પણ પુના-કરારની ઉગ્ર ચર્ચાઓ થાય.
રામાભગતના જીવનપરિવર્તનમાં તેમના પત્ની, એટલે ચંદુભાઇના મા કેન્દ્રસ્થાને છે અને એટલે પડોસીઓનો લોકમત સ્પષ્ટ અને અવિવાદિત છે; 'ડાહી ન હોત તો રામાના ઘરસંસારનું ગાડું ન ગબડત'માંનો ડૉ આંબેડકર પ્રત્યેનો અવ્યાખ્યાયિત પ્રેમ-ઝનૂન, પોતાનો નાનો-મડદાલ-લગ્ન ન કરવાની જીદ લઇ બેઠેલ અને ધાર્મિક વિધિઓથી દૂર રહેનાર દીકરો ખાદી પહેરે ત્યારે એક વાક્યમાં વરસી પડે છે, 'તું ઘઈડા ગાંધીડા જેવો લાગે છે'.
મા-બાપ વચ્ચે જેટલો પ્રેમ છે એટલો જ વિરોધાભાસ છે. ગાંધીના પ્રત્યે સહિયારો આક્રોશ, ડૉ આંબેડકર પ્રત્યે સહિયારો લગાવ. રામજીભાઈ નાસ્તિક પણ ઘરની દીવાલ પર સિફતથી સાંઈબાબા પોતાનો અડ્ડો જમાવી દે છે. કેન્સરગ્રસ્ત જીવનની છેલ્લી ઘડી આક્રંદિત છે. અસહ્ય પીડામાંથી પોતાનો જીવનસાથી પળભર મુક્ત થાય તે માટે પત્ની વિનવે છે, 'એક વાર સાંઈબાબા સામે નજર માંડી લો'ની પત્નીની જીવનની છેલ્લી આજીજીને ઠુકરાવી, પતિ પોતાના મરણખાટલાનું મ્હોં ઉંધી દિશામાં ફેરવડાવે છે. આ વાંચીએ ત્યારે એ યાદ આવ્યા વગર રહેતું નથી કે અસહ્ય માથાના દુખાવાથી મુક્ત થવા રમાબાઈએ, બાબાસાહેબને વિનંતી કરેલી કે 'મને, વિઠોબાના દર્શન કરાવો' અને બાબાસાહેબે એ વિનંતી ઠુકરાવી વચન આપેલું કે હું તારા માટે નવું સ્વમાનપ્રેરક પંઢરપુર ઉભું કરીશ.
આ બધાં ઉછેર-પરિમાણો વચ્ચે, એક યુવાન પોતાની વૈચારિક સ્પષ્ટતા એ વણલખેલ સ્થિતિથી જ કેળવી શકે કે 'ઇન્દ્રનીલ'ની જેમ ઝેર અને કટુતાના ઘૂંટડા પચાવતા શીખે. એ સત્ય નિહિત છે કે, કટુતાનો મોટો ભાગ, મનના અગોચર ખૂણે સંગ્રહિત થાય અને જિંદગીભર વાણી-વ્યવહારમાં જાણ્યે -અજાણ્યે અભિવ્યક્ત થાય અને તેના પર કાબૂ જમાવવાની કોશિશ સ્વાસ્થ્ય પર દેખાય. ચંદુભાઇના જીવનમાં 'મા'નું સ્થાન અદકેરું છે. એ ખાદી પહેરવા બદલ 'ઘઈડા ગાંધીડા'ની ગાળ ખાઈ લે, પણ અણીશુદ્ધ અંધશ્રદ્ધા રહિત વિચારધારાની સ્પષ્ટતા હોવા છતાં સાંઈબાબાની તસ્વીર ઘરની દીવાલ પરથી ન ઉતારી શકે. નાસ્તિક બાપના તેરમા સમયે ઘરમાં જ ન રહે કે શ્રાધ્ધ સમયે ગેરહાજર રહે, પણ માના પ્રેમનું ઋણ ચૂકવવા એમનો અસ્થિકુંભ ખોળામાં લઇ રેવા નદીમાં પધરાવવાનો એ સમજી-વિચારીને સ્વૈચ્છિક નિર્ણય લે. બાપુજીને પણ પોતાની વિચારધારાથી વિરુદ્ધ જઈ સમાધાનજનક વલણ અપનાવી બે સંતાનોના બાળલગ્ન કરવા પડે છે. દલિત યાતના 'અત્યાચાર' પૂરતી સીમિત નથી. કમનસીબે એ ઊંડી મનોયાતનાના આટાપાટાની ફોડ પાડીને દલિત સાહિત્યમાં કે સામાજિકરણની પ્રક્રિયામાં પેટછૂટી વાત થઇ નથી અને માટે વૈચારિક વિરોધાભાસ એક પેઢી બીજી પેઢીને વારસામાં આપે છે.
ચંદુભાઈ એક નિર્દોષ સાહિત્યિક પ્રશ્ન ઉઠાવે છે કે શા માટે દલિતો 'વાસ' ને વર્ણવવા હંમેશા 'ગંધ' શબ્દનો ઉલ્લેખ કરે છે? શહેરની ચાલીઓમાં, રોટલા જેટલો જ તીવ્ર સંઘર્ષ સંડાસ-જાજરુની ઉપ્લબ્ધતાનો અને વરસાદ ઘરમાં ચૂવે નહીં અને પોતાના માત્ર દિવાળી ટાણે મિલના બોનસમાંથી શક્ય બનતા બે જોડ વસ્ત્ર પલળી ન જાય તે માટેનો છે. દલિત એકતા-સંગઠનની યુદ્ધભૂમિ શૌચાલય રહિતની એક પેટાજ્ઞાતિ અને શૌચાલય ધરાવતી બીજી પેટાજ્ઞાતિ વચ્ચેનો જ બની રહે છે. આ 'શૌચાલય અનામત'નો સંઘર્ષ એકબીજાની ઠેકડી ઉડાડવા પૂરતો કે તેમને જાહેરમાં હલકા પાડવાની હરકતો સુધી સીમિત રહેતો નથી. એક પેટાજ્ઞાતિ બીજીને પોતાની ચાલીનું જાજરૂ વાપરવા દે અને એ માટે દાદાગીરીથી 'ટોયલેટ ટેક્સ' ઉઘરાવે, ઘરે જાજરૂ ધરાવતાં ખ્રિસ્તી કુટુંબો, ગંદા-ગોબરાં અને અવર્ણનીય હાલતના જાજરાં જેમને પનારે પડ્યા છે તે પોતાના દલિત બાંધવોને જોઈ નાકનાં ટેરવા ચઢાવે અને આ કડવાશના પહાડ એટલા મોટા થાય કે મહારાષ્ટ્રમાં રમાબાઈ કોલોનીમાં થયેલ દલિત અત્યાચારનો વિરોધ અમદાવાદમાં એક પેટાજ્ઞાતિ ભારે આક્રોશથી બીજી પેટાજ્ઞાતિના મોભા-ચંદ્રક જેવા જાજરૂનાં કાંગરે કાંગરા તહસનહસ કરી નાંખી વ્યક્ત કરે, એ કરુણાંતિકા, દલિત યાતનાની વરવી વાસ્તિકતાઓ, ભલે પોતાની જાંઘ ઉઘાડી કરવા સમાન હોય પણ શા માટે ત્રણ હજાર વર્ષ બાદ અસ્પૃશ્યતા અને નાતજાત અકબંધ છે અને તે માટે દલિતો કેટલા જવાબદાર છે, તેની વાત ચંદુભાઈ, સવિસ્તારથી પોસ્ટમોર્ટમ કર્યા વગર આગળ ચાલે છે, પણ તેની વાત કરે છે ખરા.
અસ્પૃશ્યતા રોટલાના સંઘર્ષ વચ્ચે પણ અકબંધ છે. ગાંધીના પડછાયાથી પ્રભાવિત મજુર મહાજન સંઘની કે સામ્યવાદી વિચારધારાની મોજુદગીવાળા મજુર સંગઠનોની વચાળે મિલમાં દલિતો માટે ઝાડનાં છાંયડે અલગ ટિફિન મુકવાની વ્યવસ્થાની મોજુદગી હાજરાહજૂર છે અને છતાંય તેનો ગાંધી સાહિત્યમાં કે ભવ્ય ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખ મારા ધ્યાને ક્યારેય ચઢ્યો નથી.
ભૂખની ભયાનકતા વાસ્તવિક છે; ભલે પ્રેમચંદ દ્વારા લેખિત 'કફન' ઘણાંને કાલ્પનિક જણાઈ હોય. શાળાની ક્વચિત ઉજાણી ચંદુભાઈ માટે તો ઈશ્વરનિર્મિત જ હતી કારણ ભાવતા બટાટાની સુકીભાજી અને તેલમાં તળેલ પુરી ખાવાનો અવકાશ ફરીથી મળે કે ન મળે. ક્યારેક બાપુ, મિલમાં ટિફિન આપવા જતા નાના ચંદુને પાંચ પૈસાની ગરમાગરમ પુરી કેન્ટીનમાં ખવડાવતા. ગાંધી આશ્રમ ખાતે યોજાયેલ ઉજાણી નિમિત્તે ચંદુભાઈની આશ્રમની પ્રથમ મુલાકાતની યાદનું કેન્દ્રબિંદુ સ્વાતંત્ર્યસંગ્રામની આ રણભૂમિ રૂપે અંકાયું ન હતું પણ પોતાનું ડોલચું ખોલતાની સાથે જ પુરી મ્હોમાં જાય તે પહેલાં ઉપરથી ઉડતો કાગડો તે પુરી પર ચરકી ગયો અને ચંદુ એક બાળક તરીકે મિત્રોના ભારે અટ્ટહાસ્ય મધ્યે રડી પડ્યા, એ હતું. કાશ, ભારતમાં 'વિકાસ'ની ચર્ચા કરતાં 'ગરીબી'ની ચર્ચા થતી હોત, તો કેટલું સારું. શા માટે, પૂર્ણ કારણે પોતાનો તબાહ થઇ ગયેલ 1000 રૂપિયાની કિંમતનો માલ માત્ર 200 રૂપિયામાં વેચી કાઢવા મજબુર બનતા સુરતના વેપારીઓ કેમેરા સામે ચોધાર આંસુએ રડી પડે છે? ક્યારેક પ્રશ્ન થાય કે ભારતના દુશ્મનો માત્ર અંગ્રેજો હતા?
ઘરમાં ઘડિયાળ ન હોવા છતાં નિશ્ચિત સમયે જ દુકાન પાસે ઊભા રહી મિલના રસ્તે મીટ માંડી, મિલમાંથી છૂટી ઘર તરફ આવતા બાપ દેખાય તે સાથે જ તેમની સામે દોડતા ભાઈઓમાં કંગાળ શરીર લઇ ચંદુ પણ સ્પર્ધામાં ઉતરે; બાપને ભેટવા નહિ પણ એમના ટિફિનના ડબ્બામાં એક રોટલાનો ટુકડો બાળકો માટે એ બચાવી ઘરે પાછો લાવતા, તેને ઝુંટવવા.
મોટાભાઈ ખ્યાતનામ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણે છે અને કુટુંબના આ ભવિષ્યના મુખ્ય આધારને પોષવામાં એના માટે તળેલો રોટલો મા 'અનામત' રાખે છે. ભાઈની ટણીના પરિણામરૂપે, તે માત્ર રોટલાનો મધ્યભાગ જ ખાય છે અને બાકીના ભાંડુઓ એમની જમણવિધિ પતે એની મીટ માંડી રાહ જુવે છે, એ અપેક્ષાએ કે બીજા પ્રકરણમાં વધેલ રોટલાની કોર, મા સરખા ભાગે એમને વહેંચી આપે. અર્થશાસ્ત્રમાં આ વિષયને 'પોલોટીકલ ઈકોનોમી' તરીકે ઓળખવામાં આવે છે; વ્યવસ્થાગ્રસિત વહેંચણીની વ્યવસ્થા. અર્થશાસ્ત્ર સમજવા મહાવિદ્યાલય જવાની જરૂર નથી, જો ઘરની ગતિવિધિઓનું યોગ્ય આકલન કરીએ તો. ભવિષ્યમાં ભાઈ-બહેનના સંબંધો કેવી રીતે ઘડાય છે તેનો આધાર પણ બાળપણના આ અસમાનતા પ્રેરિત અનુભવો છે.
પોતાનો એક દૂરનો કુટુંબીજન વ્હાલો છે કારણ એનું કામ ગ્રાહકોને ટિફિન પહોંચાડવાનું છે અને ક્યારેક વળતાં ઘર પાસે આવે છે જેથી એ ટિફિનમાં વધેલા-ઘટેલા- ટિફિનની ધારને ચોંટી રહેલ ભોજન ટુકડાઓનો સ્વાદ ચંદુ અને એમના ભાંડુઓ માણી શકે. ગામડે, બાળપણમાં ચંદુને અનુભવ થાય છે કે પોતાનો ભાણિયો ખાસ અમદાવાદથી આવ્યો છે એટલે છુપાવેલ વાટકામાં કંઈ વધુ નાંખવા મામા દરબારને કઈ ભાષામાં વિનવે છે. ચંદુભાઈને પાકટ ઉંમરે પોતાના એ અનુભવનું અનુસંધાન દલિતોની વરવી જીવનદશામાં દેખાય છે કે દરબારો દલિત સ્ત્રીની આબરૂ એના પતિની હાજરીમાં લૂંટતા હોય. જોકે, આ શોષણજાળના ભાગરૂપે આ શોષણને વકરાવવામાં દલિતોની દલાલ-સામેલગીરીની વાત, ભલે એ વખાની મારી, ભૂખ ભાંગવાના પ્રયત્નમાં ઉદ્ગમસ્થાન ધરાવતી હોય, એનો ઉલ્લેખ, આત્મકથાના પાનામાં ધરબાયેલો હોવા છતાં, ઊડીને લમણે ઝીંકાતો નથી.
ભૂખ ભાંગવા હાડકાં વીણવા પડે, ત્યાં અત્યંત પાતળી રોટલી 'ખાખરા' કહેવાય તેવું આધુનિક-સહજઅપેક્ષિત જ્ઞાન ન હોય તે સ્વાભાવિક છે એટલે મા ખાખરાનું નામકરણ 'વાણિયારોટલી' તરીકે કરે છે. આ બધાની વચ્ચે બાળપણમાં ચંદુ સાહિત્યમાં ગૂંથાય છે અને નાની ઉંમરે ઘરમાં વીજળી આવે તે પહેલાં મૅક્સિમ ગોર્કીની 'મા' વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. મિલમજૂરોની ચાલીઓમાં સતત સક્રિય ગાંધીવાદી કાર્યકરો 'અનામત વિરોધી આંદોલન' બાદ આ વિસ્તારોમાંથી પલાયન કરી જાય છે તેનો ઇતિહાસ ઘણું કહી જાય છે અને ઘણું નવું સંશોધન કરવા આપણને પ્રેરે છે.
ઘરમાં બારી નથી કારણ બારી તો જ મુકાય જો ઘર બહાર છુટની જગ્યા હોય; એટલે એ સંતોષ સાથે જીવવાનું છે કે ઘર બહાર ફૂટપાથના વપરાશનો અધિકાર છે જ્યાં રાત્રે, દબાણ દૂર કરવા બુલડોઝર આવશે તેની ચિંતા વગર ખાટલો ઢાળી સુઈ શકાય છે. એકવાર હું અને ચંદુભાઈ કોઈ અત્યાચારગ્રસ્ત ગામની મુલાકાતેથી પાછા વળતા હતા અને ગાડીમાં તેમને ચાલીના ઘરે ઉતારવા ગયેલો ત્યારે કેટકેટલા સુતા લોકોને જગાડી ખાટલા હેરફેર કરવા પડેલા તે યાદ છે. વર્ષો બાદ ચંદુભાઇના ઘરમાં કમાણી વધે છે એટલે ઘરમાં સૌથી સુંદર-સુઘડ જગ્યા ઉમેરાય છે જ્યાં બેસીને જમવાનું મન થાય અને તે છે સફેદ લાદીમાં નવોઢાની જેમ લપેટાયેલ 'જાજરૂ'.
અંતે, પોતાના પૂર્વજોના ચર્મકામ સાથેના સંબંધોની વાત પણ આત્મકથામાં આવે છે. પેટા જ્ઞાતિની ઓળખ અપમાનનું માધ્યમ પણ બને છે. ત્યારે, નજીકના વર્ષોમાં જ, પગરખાં માટે 'ખાહડાં' શબ્દનું ચલણ સવિશેષ હતું. ખાહડાં અને દલિત યાતના ઘણા નજીકથી જોડાયેલા છે. સ્ત્રીઓને પગની 'જુતી' સમજવાની વાત હોય કે વંઠેલ માલિકે દલિત મજૂર પર છુટા ખાહડાંનો ઘા કર્યો હોય અને દલિતે તેને સાફ કરી મારનારને પાછા આપવાની વાત હોય કે તમિલનાડુમાં દલિતો માટે ગામમાં, પોતાની વસ્તી સિવાયના વિસ્તારમાં તે પહેરવા પર પ્રતિબંધની વાત હોય. પણ ચંદુભાઇએ પોતાના બાળપણની બે વાતો કરી છે. એક, નવા કપડાં વ્હાલા છે પણ એથી વધુ વ્હાલાં, ભાઈ-બહેનના લગ્નપ્રસંગે મળેલ નવા ચપ્પલ છે. એ પોતાની જણસ ખોવાઈ ન જાય કે ગામના કૂતરાં ઉઠાવી ન જાય, એ માટે નાનો ચંદુ તેને પહેરીને જ સુઈ જાય છે. રાત્રે મા-બાપ સૂતી વખતે ચપ્પલ ન પહેરાય માટે એને કાઢવા ભારે મથામણ કરે છે. ભારે રોકકળ અને સંઘર્ષ બાદ અત્યંત નબળું શરીરસૌષ્ઠવ ધરાવતો ચંદુ પોતાની જણસનો કબજો જાળવી રાખવામાં સફળ થાય છે અને મા-બાપ હારે છે. ડરબન પરિષદમાં જવા, વર્ષો બાદ ભારે કિંમતના સ્પૉર્ટસ શૂઝ ચંદુભાઈ ખરીદે છે, પોતાના બાળપણની યાદોની ભીનાશને અંતરમાં છુપાવીને.
ભારે સંવેદનશીલ ચંદુભાઈ ભાગ્યે જ રડી શકે છે. સૂકા રોટલા સાથે જોડાયેલ સૂકી લાગણીઓથી જાણે એ હેવાયા થઈ ગયા છે. મારી ભલામણ તો સવિશેષ યુવાનોને, કે આ પુસ્તક વસાવે અને એકથી વધુ વાર વાંચી, ઝડપથી બદલાતાં જતાં બજારના પ્રવાહોમાં તણાઈને નાશ પામે તે પહેલા, પોતાનો ઇતિહાસ સમજવાની કોશિશ કરે જેથી 'તમસ'ના રચયિતા ભીષ્મ સાહનીના કથાનક અનુસાર એ ટાળી શકાય કે 'જે લોકો પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે તે તેને દોહરાવવાના નિમિત્ત બની રહે છે'.

