ઈષ્ટ કે પ્રિયજનની યાદમાં ગવાતું 'વાઈ'

Source: દિવ્ય ભાસ્કર

એકસાથે ત્રણ-ચાર જણ પલાંઠી વાળીને(ગુડાવાળીને) જાણે ઈબાદતમાં બેઠા હોય અને એ પૈકી વચ્ચે બેઠેલી વ્યક્તિના ખોળાથી ખભા સુધી પાંચ તારવાળો ધંભુરો(કે ધંબુરો) હોય. આ વાદ્ય વગાડતાં વગાડતાં એ વચ્ચે બેઠેલો જણ ઊંચા સાદે-જાણે કોઈ આગળ નીકળી ગયું હોય અને રાડ પાડીને એ જનારનું ધ્યાન ખેંચવાનું હોય તે રીતે એકદમ ઊંચા સૂરમાં ગાતો હોય અને બાજુમાં બેઠેલા કલાકારો તેને ઝિલાવતા હોય. આ ગાયકીની મજા જુઓ કે ખુદ ગાનાર, આસપાસ બેસીને ઝિલાવનાર અને એટલું જ નહીં, સામે બેઠેલા શ્રોતાઓ (જેમાં આખું ગામ પણ હોય) એ તમામ રડતા હોય!

વિલાપ અને વિરહનું આ ગાયન એટલે 'વાઇ.' કચ્છ અને સિંધમાં જ માત્ર આ 'વાઈ' ગવાય છે. કચ્છી સંગીતને જીવતું રાખવા મથી રહેલાં લોકો કહે છે કે, આજે કચ્છમાં આ 'વાઈ' પ્રકારનું ગાનારા અને ધંબુરો વગાડતાં વગાડતાં ગાનારા કલાકારો આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ નથી. ફક્ત ચાર જ વ્યક્તિઓ આખા ભારતમાં છે જે 'વાઈ' ગાઈ શકે છે અને એ તમામ કચ્છી છે. આ કઠિન ગાયનશૈલી પરવરદિગારના વિરહમાં ગવાય છે અને તેઓ આ પરંપરા ટકાવવા માટે જ ગાય છે અને રડે છે.

'વાઈ'ના ગાયકો પોતાના ઈષ્ટના વિરહમાં બંદગી કરે છે. કચ્છ અને સિંધ બંને જગ્યાએ ‘વાઈ'માં શાહ અબ્દુલ લતીફ ભિટાઇની રચનાઓનું ગાયન થાય છે. કચ્છમાં આ ગાયકો લુપ્ત થઇ રહ્યા છે. જ્યારે સિંધમાં(પાકિસ્તાનમાં) આજે પણ 'વાઈ' ગાયકો અસ્તિત્વ ધરાવે છે. યાદ રહે કે, ધંબુરા વાદ્ય સાથે જ્યારે આ ગાયન ગવાય છે. ત્યારે ઉપસ્થિતો, ગાનાર અને ઝિલનાર હરકોઈનું ચિત્ત પરમકૃપાળુ પરમેશ્વર કે પયગંબર સાથે એકચિત્ત થઈ જાય છે. એકેશ્વરવાદનો આ આલાપ વિરહની વેદનાને વાચા આપે છે.

કચ્છી પરંપરાગત લોકસંગીત સાથે ‘વાઈ’ વણાઈ ગયેલું ગાયન છે. પ્રિયજન પાછળનું તાલબદ્ધ ગાયન એટલે 'વાઇ.' કચ્છની લોકકથાઓની સાત નાયિકાઓ- મારવી, મુમલ, સસઈ, નૂરી. સુહણી, સોરઠ અને લીલાના પ્રેમ, સંઘર્ષ અને હિંમતની વાતો આ 'વાઈ'માં સમાયેલી છે.

એકદમ નાભિમાંથી શ્વાસ ખેંચીને પૂરી તાકાત સાથે લય, તાલ, સૂર અને ધંબુરાના પાંચેય તારની સંગત સાથે 'વાઈ' મોટા ભાગે રાત્રે ગવાય છે. રાત્રિના સમયે એક તરફ ઠંડો પવન વાતો હોય, શ્રોતાઓ પણ રસતરબોળ બનીને એકચિત્તે અશ્રુસભર આંખે સાંભળતા હોય અને ગાનાર-ઝિલનાર બધાં જ બંધ આંખે ગુલતાન થઇ ગયા હોય છે. કહેવાય છે કે, આ ગાયન, શબ્દો કે રચનાના પ્રકાર વિશે જેને કંઈ પણ ખ્યાલ નથી, એવો અજાણ્યો શ્રોતા પણ પોતાના કોઈ છૂટી ગયેલા સાથી કે સ્વજનની સ્મૃતિમાં તણાઈ જાય છે અને તેની આંખોમાંથી બે આંસુ વહી જાય છે.

આ ગાયકીમાં સાથ આપતો ધંબુરો કોઈ તાનપુરો કે સિતાર નથી, એ સૂફી બંદગીનો આત્મા છે. ખુદ શાહ લતીફે આ વાદ્યની ડિઝાઈન તૈયાર કરી હતી. પાંચ તારના ધંબુરાનો ઘાટ એવો હોય છે કે તેમાંથી નીકળતો સૂર એકદમ ઘેરો (ષડજ જેવો) હોય છે અને તે જાતે જ પડઘો પાડે છે. લખપતના રાવરેશ્વરના મીઠાખાન પોતાના પુત્રને ગુમાવ્યાના દુઃખ સાથે પણ આ પરંપરા જીવંત રાખવા મથી રહ્યા છે; કારણ કે બંદગી કદી રોકાતી નથી. હાલ છ યુવાનો આ કલા શીખી રહ્યા છે, પણ તેમનું શિક્ષણ હજી આરંભના તબક્કામાં છે.

સિંધી અને કચ્છી ભાષામાં 'વાઈ' શબ્દનો અર્થ 'પોકાર', 'આવાજ' અથવા 'આલાપ' થાય છે. તેનો આધ્યાત્મિક ભાવ એ છે કે, આ કોઈ સામાન્ય ગીત નથી પરંતુ ઈશ્વર (અલ્લાહ) તરફનો એક આર્તનાદ છે. આ ગાયકીમાં ગાયકો પોતાના અવાજ દ્વારા પરમાત્માને મળવાની તીવ્ર ઝંખના વ્યક્ત કરે છે, એટલા માટે જ તેને 'પોકાર' કહેવામાં આવે છે. શાહ લતીફે સિંધી સાહિત્યનો અમૂલ્ય ગ્રંથ 'શાહ જો રિસાલો'(Shah Jo Risalo) લખ્યો હતો. આ ફકીરો આ રિસાલાની વાઈને જ ગાય છે.

આ ગાયકી ખૂબ જ કઠિન છે, કારણ કે તેમાં ઊંચા અને નીચા સૂરનો એક ખાસ સમન્વય હોય છે, જેના કારણે આ રાગ બંને જગ્યાએ એકસમાન રીતે ગવાતો. શાહ અબ્દુલ લતીફ ભિટાઈનો સમયગાળો ૧૬૮૯-૧૭૨નો હતો. એટલે કે આજે ૩૦૦ કરતાં પણ વધુ વર્ષોથી આ 'વાઇ' રાગ અવિરતપણે ગવાઈ રહ્યો છે.

કચ્છની ચોક્કસ દરગાહો જ આ ગાયકીનાં અસલી કેન્દ્રો છે, જેમાં જડોદરમાં હાજી સાલે શાહની દરગાહ અને ઓરીડાની શાહ તમાચી પીરની દરગાહનું વિશેષ મહત્ત્વ છે. આ પવિત્ર જગ્યાઓ પર આજે પણ ઉર્સ (મેળાવડા) વખતે આ રાગ ગવાય છે. -   

‘વાઇ’ શોર્ટ ફિલ્મને મળ્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ

  • • ફિલ્મનું નામ : વાઈ (Waai)

  • • ડાયરેક્ટર : સાઈનાથ એસ. ઉશ્કેરાઈ

  • • પ્રોડ્યુસર : ભરતબાલા (વર્ચ્યુઅલ ભારત)

  • • મુખ્ય ગાયકોઃ મીઠાખાન, સુમાર કાદુ, ભચાયા. સરીફ અને વાઈ શીખી રહેલાં બાળકો

આ નાનકડી ડોક્યુમેન્ટ્રી ફિલ્મે દેશ-વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ ફિલ્મ 'વર્ચ્યુઅલ ભારત'ના ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય ડિજિટલ દસ્તાવેજીકરણ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો ભાગ બની છે.

  ઇન્ટરનેશનલ એવોર્ડ્સ

આ ફિલ્મે મે 2026માં 'ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ'(NYIFF)માં બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રીનો એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ જૂન 2026માં 'મુંબઈ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ'(MIFF 2026)માં આ ફિલ્મને પ્રતિષ્ઠિત 'સિલ્વર કોન્ચ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સન્માન વાસ્તવમાં કચ્છ-સિંધની વિસરાતી પરંપરાગત લોકગાયકીનું સન્માન છે.

દિવ્યભાસ્કર-કળશ /15-07-2026

અઢીઅખરું કચ્છ / નવીન જોષી

navinchandra.joshi@dbcorp.in

એકત્ર ફાઉન્ડેશન