સમયના સતત વહેતા પ્રવાહમાં સાથે માણેલી ક્ષણો ક્યારે સંસ્મરણોમાં સંતાઈ જાય તે જાણવું કે સમજવું મુશ્કેલ છે, પણ જે સંસ્મરણો સાંપ્રતના સતત સાથી અને અનાગતનું પાથેય બની રહે તેને અતીતની દિવ્ય સોગાદ કહેવાય. મારે માટે નિરંજન ભગત આવી અતીતની સોગાદ જ હતા.
મારો ગુજરાતી સાહિત્ય સાથેનો સંબંધ ૧૯૬૦માં પૂરો થઈ ગયો હતો. છેલ્લે પ્રોફેસર મધુસૂદન કાપડિયા પાસે દર્શકની એકાધિક નવલકથાઓ સાંભળી હતી - જોકે પરીક્ષામાં પ્રશ્નો આવવાના હતા સરસ્વતીચંદ્ર અંગે! પણ સ્નેહરશ્મિએ સિંચેલ માનસમાં કે પછી પૂર્વજોએ રોપેલાં બીજમાં સાહિત્યના સંસ્કાર પડ્યા હશે તેથી પ્રસંગોપાત્ત થતી અનુભૂતિની અભિવ્યક્તિ થયા કરતી. તે ગુજરાતીમાં હોય કે અંગ્રેજીમાં, તેને નોટમાં ટપકાવી લેવાની વૃત્તિ કદાચ સ્વભાવગત હશે. ગમે તે કારણસર પણ વખતોવખત લખેલું એક નોટમાં સચવાયું હતું. ૧૯૮૦ના દાયકામાં નિરંજન ભગતની વિદ્યાર્થિની રહી ચૂકેલી, મારી પત્ની, વંદનાના આગ્રહથી તે નોટ નિરંજનભાઈને વાંચવા આપી. થોડા દિવસ પછી તેમનો સમય લઈને તેમને મળ્યા, તે મારી તેમની સાથેની પહેલી મુલાકાત. તે સમયે મારી ઉંમર ચાલીસેકની અને તેમની ૫૫/૬૦ની. તેમનો પ્રશ્ન હતો, 'આટલું જ લખ્યું છે?' મારી 'હા'ના જવાબમાં - ‘તો લખવાની ગુણવત્તા સારી કહેવાય, વધારે લખો.’ ન કોઈ વિશ્લેષણ, સલાહ-સૂચન કે સુધારાવધારા! મને તો થયું કે આ મિતભાષી કવિએ પૂરું વાંચ્યું હશે કે કેમ! પણ નોટમાં જોતાં ખબર પડી કે પહેલેથી છેલ્લે સુધી વાંચ્યું હતું અને ખરા અને ખોટાની નિશાની ઘણી જગાએ દેખાતી હતી.
પછી એક વાર હઠીસિંગ ગૅલરીમાં તેમનું વ્યાખ્યાન સાંભળવા ગયો હતો - કલાકેકનો સમય ફાળવીને. અદ્ભુત અનુભવ - થાય કે વક્તા બોલ્યા જ કરે ને આપણે સાંભળ્યા જ કરીએ. વક્તૃત્વની કળા આત્મસાત કરી હોય તેવો વાણીનો પ્રવાહ, રસપ્રદ, સચોટ અને આશ્ચર્યજનક હકીકતો - પ્રાચીન અને અર્વાચીન, પૂર્વના અને પશ્ચિમના સાહિત્યમાંથી સમૃદ્ધ અવતરણો અને ઉદાહરણો - જાણે જ્ઞાનના ઘૂઘવતા દરિયામાં શ્રોતા તરબોળ થઈ જતો હતો. એકને બદલે બે કલાકે કમને નીકળી જવું પડ્યું. થયું કે આવા સરસ વક્તાએ પહેલેથી સમય મર્યાદા બાંધવી જોઈએ અને તે જાહેર કરવી જોઈએ. પછીથી તો અનેક વાર રઘુવીરભાઈ પાસેથી સાંભળ્યું છે કે ટૂંકમાં બોલવાનું કહેવું એટલે ભગત સાહેબની પરીક્ષા લેવી!
આવી અલપઝલપ મુલાકાતો પછી અમારા સંબંધસેતુનો આરંભ થયો ૯૦ના દાયકાના અંત ભાગમાં. હું રવીન્દ્રનાથનાં કાવ્યોનો અંગ્રેજીમાંથી અનુવાદ કરતો હતો તે નિરંજનભાઈના તેમ જ અમારા પારેખ પરિવારના પરમ મિત્ર, નિકુલભાઈ નાયકે (અમેરિકાસ્થિત ગુજરાતી કવયિત્રી, પન્ના નાયકના પ્રથમ પતિ), તેમને બતાવ્યા અને અમારી મુલાકાત ગોઠવી. રવીન્દ્રનાથની વાત આવી ત્યારે પેલા મિતભાષી કવિ અદૃશ્ય થઈ ગયા અને મારી સામે આવ્યા એક પ્રખર રવીન્દ્રવિદ્ અને રવીન્દ્ર-અનુરાગી. આ પહેલી જ મુલાકાતમાં મને તો ખાતરી જ થઈ ગઈ હતી કે મને તો મારી રવીન્દ્રયાત્રાના પથદર્શક મળી ગયા હતા. ત્યારથી જ તેઓ મારે માટે 'પાંથજનેર સખા' હતા. જોકે તેમણે પણ મને તેમની રવીન્દ્રયાત્રાનો યોગ્ય સહભાગી માન્યો છે એવી જાણ મને ઘણા સમય પછી થઈ હતી.
અમારી મુલાકાતો વધતી ગઈ અને દરેક મુલાકાતના કેન્દ્રમાં હોય રવીન્દ્રનાથ કે રવીન્દ્રસાહિત્ય. રવીન્દ્રનાથનું જીવન હોય કે રવીન્દ્રનાથનું સાહિત્ય હોય કે પછી રવીન્દ્રનાથના વિચારો હોય - નિરંજનભાઈની હકીકતોની જાણકારી અને પોતાના આગવા વિશ્લેષણથી હું પ્રભાવિત થતો ગયો. તેમના માર્ગદર્શન નીચે ધીરે ધીરે મારો રવીન્દ્રસાહિત્યનો સંગ્રહ સમૃદ્ધ થતો ગયો. એમની વાતો સાંભળતા મને થયા કરતું કે તેમણે ગુજરાતમાં રવીન્દ્રનાથની વધારે વાત કરવી જોઈએ અને તે હું તેમને કહ્યા પણ કરતો.
તેમણે એકથી વધારે વાર કહ્યું અને લખ્યું છે કે તેમની લેખન પ્રવૃત્તિના મૂળમાં રવીન્દ્રનાથ હતા. માટે એ વાત હું વધારે વિગતે નહીં કરું. એક દિવસ અચાનક તે બોલ્યા કે મને લાગે છે કે મારે રવીન્દ્રનાથનું ઋણ ચૂકવવા મારાં અંતિમ વર્ષો તેમને અર્પણ કરવા છે. તે માટે શું કરવું તેની ચર્ચામાં એક દિવસ તેમણે કહ્યું કે આપણે આ કામ માટે આપણી સાથે ભોળાભાઈ પટેલને જોડવા જોઈએ.
આખરે જે દિવસે ભોળાભાઈની હાજરીમાં રવીન્દ્રભવનના સ્વપ્નને આકાર અપાયો તે દિવસ આખા જગતને પણ આજે યાદ છે. તે દિવસે, ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ - અમે ત્રણે જણ ન્યૂ યૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને જમીનદોસ્ત થતું જોતાં જોતાં રવીન્દ્રભવનના પ્રથમ કાર્યક્રમને અને કવિના સ્વપ્નને આકાર આપતા હતા.
જ્યાં રવીન્દ્રનાથ કે તેમના સાહિત્યની વાત થાય તે રવીન્દ્રભવન અને તેને કોઈ નામું કે સરનામું નહીં હોય. આવા પ્રકલ્પનો આરંભ કરવા ૭મી મે, ૨૦૦૨, રવીન્દ્રનાથની ૧૪૧મી જન્મજયંતી - આ શુભ દિવસે એક ભવ્ય કાર્યક્રમ શાહજહાંના શાહીબાગ સ્થિત મહેલમાં - જ્યાં રવીન્દ્રનાથ ૧૭ વર્ષની વયે ત્રણેક માસ રહ્યા હતા - યોજવો. તે દિવસે તપન સિંહા દિગ્દર્શિત અને રવીન્દ્રનાથ લિખિત ફિલ્મ, 'ક્ષુધિત પાષાણ', બતાવવી. આ ફિલ્મની વાર્તાની પ્રેરણા રવીન્દ્રનાથને આ મહેલમાં રહેતી વખતે મળી હતી. એક નામા અને સરનામા વિનાની સંસ્થા માટે આ એક ભવ્ય કાર્યક્રમ જ નહીં પણ એક ભવ્ય સ્વપ્ન પણ હતું! તે દિવસોમાં, જ્યારે ડિજિટલ ઉપકરણોનો વિકાસ ચાલી રહ્યો હતો અને ડીવીડી કે પેન-ડ્રાઇવ ઉપલબ્ધ ન હતાં, ત્યારે ફિલ્મ બતાવવા માટે તેની પ્રિન્ટ મેળવવી, પ્રોજેક્ટર ભાડે લઈ આવવું. વગેરે માટે સમયબદ્ધ આયોજન અને અનેક સંસ્થાઓનો સહયોગ આવશ્યક હતો, પણ અહીં તો રવિની પાર જનાર કવિનું રવિને પામવાનું સ્વપ્ન હતું!
વચ્ચે ફેબ્રુઆરીના અંતમાં આવી ગઈ ગોધરાની ટ્રેન અને અમદાવાદ રહેંસાઈ ગયું. આવા સંજોગોમાં કાર્યક્રમ માંડી વાળવો પડયો. પણ ૭મી મે, ૨૦૦૨ના દિવસે રવીન્દ્રભવનની સ્થાપના તો થઈ - રવીન્દ્ર સંગીત, ‘નૈવેદ્ય' અને 'ગીતાંજલિ' ઉપર નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલનાં વ્યાખ્યાનો અને ૧૯૬૧માં સત્યજિત રાયે બનાવેલી રવીન્દ્રનાથની દસ્તાવેજી ફિલ્મ સાથે ખીચોખીચ ભરેલા ગજ્જર હૉલમાં જાહેર કરવામાં આવ્યું કે દર માસના પહેલા બુધવારે રવીન્દ્ર ભવનનો કાર્યક્રમ થશે અને રસ ધરાવતા સૌને કાર્યક્રમની વિગતોની જાણ કરવામાં આવશે. પછીના સોળેક વર્ષમાં ૧૭૫થી વધારે કાર્યક્રમો થયા - મોટા ભાગે વ્યાખ્યાનો, બહુધા પરિષદના ગોવર્ધન સ્મૃતિમંદિરમાં. સાથે રવીન્દ્ર સંગીત, ફિલ્મ, દૃશ્ય-શ્રાવ્ય, આંતરરાષ્ટ્રીય સેમિનારનું પણ આયોજન થયું. વિશ્વકોશના સભાગૃહનો પણ લાભ મળ્યો અને સાબરમતી આશ્રમમાં પણ બે કાર્યક્રમ થયા.
બધા જ આયોજનમાં નિરંજનભાઈ સાથે જ હોય. તેમની પ્રતિષ્ઠા અને પ્રતિભાને કારણે દરેક વ્યક્તિ તેમ જ સંસ્થા તરફથી તરત જ અત્યંત આદરપૂર્વક સહકાર મળે. આવા થોડા કાર્યક્રમોની અવિસ્મરણીય વાતો કરવાનો લોભ હું જતો નહીં કરી શકું.
જુલાઈ ૨૦૦૧માં નિરંજનભાઈ લંડન ગયા હતા અને ત્યાં તેઓ સુવિખ્યાત રવીન્દ્રવિદ્ અને અનુવાદક વિલિયમ રેડીચીને મળ્યા અને તેમને તેમની ભાવિ ભારતયાત્રા દરમિયાન અમદાવાદ આવવા નિમંત્રણ આપ્યું. જ્યારે રેડીચીએ તે નિમંત્રણ સ્વીકારતાં જણાવ્યું કે તેઓ ફેબ્રુઆરી ૨૦૦૨માં અમદાવાદ આવી શકશે, ત્યારે પેલા માંડી વાળેલા ભવ્ય કાર્યક્રમનું સ્વપ્ન જાગી ઊઠ્યું. ચોરાણું વર્ષના રમણલાલ સોનીના પ્રમુખપદ નીચે શાહીબાગના મહેલમાં રેડીચીનું વ્યાખ્યાન અને પછી 'ક્ષુધિત પાષાણ' ફિલ્મ બતાવીને કવિનું સ્વપ્ન સાકાર કર્યું. ત્યાર બાદ રેડીચી બીજી બે વાર અમદાવાદ આવ્યા હતા અને કાયમ કહેતા કે શાહજહાંના મહેલમાં કરેલા વ્યાખ્યાન જેટલો મોટો શ્રોતાગણ તેમને બીજે ક્યાંય મળ્યો ન હતો!
રવીન્દ્રભવનના નેજા નીચે રવીન્દ્રનાથની જન્મજયંતી અથવા મૃત્યુતિથિને દિવસે કોઈ વિશિષ્ટ કાર્યક્રમ કરવો એમ નક્કી કર્યા પછી રવીન્દ્રનાથના જીવનના પ્રસંગો ઉપર આધારિત પાંચ દૃશ્ય-શ્રાવ્ય વાચિકમના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા, જેમાંથી તેમણે ચારમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. રિહર્સલ માટે હંમેશાં તૈયાર અને નિયમિત તેમ જ નિષ્ઠાપૂર્વક ભાગ લેવો. અત્યારે મને યાદ આવે છે તે સમયની એક વાત. રવીન્દ્રનાથના એક ભાભીનું નામ હતું જ્ઞાનદાનંદિની દેવી.
નિરંજનભાઈને આ નામ બોલવામાં તકલીફ પડે અને હંમેશાં બેચાર વખત સુધારીને બોલવું પર ત્યારે તે હસતાં હસતાં કહેતા કે હવે મને સમજાય છે કે આ બંગાળીઓ ડાકનામ એટલે કે બોલાવવાનું હુલામણું નામ કેમ રાખે છે - આવા લાંબાલચક અને અઘરા નામે કોઈને શી રીતે બોલાવાય? આ દૃશ્ય-શ્રાવ્ય વાચિકમ જ્યારે ૨૦૧૦માં અમેરિકામાં ભજવ્યાં ત્યારે પણ ફરીથી રીહર્સલ માટે પહેલા જેટલી જ નિષ્ઠા અને ઉત્સુકતા તેમણે દાખવી હતી.
સાબરમતી આશ્રમમાં રજૂ થયેલા બે કાર્યક્રમ માટે આયોજનમાં ઊંડો રસ લઈને બધી જ વિગતો નક્કી કરતા અને બહારગામથી આવતા અતિથિને ઍરપૉર્ટ ઉપર લેવા જવાથી માંડીને તેમના ઉતારા સુધી મૂકી જવાની મહેમાનગતિ ઉત્સાહપૂર્વક નિભાવતા. યાદ રાખવું જોઈએ કે આ વખતે તેઓ ૮૦ પાર કરી ચૂક્યા હતા. ત્યાં રજૂ થયેલા ગાંધી-ટાગોર નાટકના કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન તેમણે જાતે કર્યું હતું. જ્યારે તેમને કહેતા કે હવે તમારે બીજાને કામ સોંપવું જોઈએ ત્યારે કહેતા કે રવીન્દ્રનાથ માટે કરેલું કોઈ પણ કામ નાનું નથી હોતું.
૨૦૦૬માં અમે રવીન્દ્રનાથના પગલે બંગાળ અને બાંગ્લાદેશની મુસાફરી સાથે કરી હતી. આખી મુસાફરી દરમિયાન એકવાર પણ અમને તેમની ૮૦ વર્ષની વયનો ખ્યાલ આવ્યો ન હતો. બિલકુલ સ્વનિર્ભર અને સ્વાવલંબી - કોઈ પણ વાતમાં અમારે તેમનું ધ્યાન રાખવું પડ્યું નહતું. નક્કી કરેલા સમયે સ્ફૂર્તિભર્યા ચહેરા સાથે તૈયાર અને આખા દિવસ દરમિયાન એ જ ઉત્સાહ, જેનાથી આપણો પણ થાક ઊતરી જાય.
કલકત્તામાં શંખ ઘોષ (જેમનો પરિચય આવશ્યક નથી), શાંતિનિકેતનમાં પ્રશાંતકુમાર ડાલ (રવીન્દ્રનાથના જીવનચરિત્રકાર), ઢાકામાં મોફિદુલ હોક (ત્યાંનાં વૉર મેમોરિયલ મ્યુઝિયમના સ્થાપક), સંજીદા ખાતુન (ત્યાંના અગત્યના સાંસ્કૃતિક સંસ્થાન, છાયાનટના તત્કાલીન પ્રમુખ) તેમ જ ઢાકા યુનિવર્સિટીના અધ્યાપકોને અમે મળ્યા હતા. આ બધાંની સાથે નિરંજનભાઈની જ્ઞાનાગોષ્ઠિ સાંભળવા હું ઉત્સુક હતો. પણ ત્યાં મેં નિરંજનભાઈને પહેલી અને કદાચ છેલ્લી વાર એક મૂક શ્રોતાના અવતારમાં જોયા! તેમનું આ સ્વરૂપ સમજી કે સમજાવી શકાય તેમ નથી. કદાચ તેઓ આખી મુસાફરી દરમિયાન તે રવીન્દ્રનાથને શોધતા રહ્યા હશે -તેમના કલકત્તા અને શાંતિનિકેતનના રહેઠાણોમાં, તેમના વિદ્યાસંકુલમાં, તેમની કર્મભૂમિમાં - ને અંતે તેમને શોધી કાઢ્યા એક નવી કવિતામાં – ‘કવિ તમે ક્યાં છો?’, જેમાં તેમણે લખ્યું :
જ્યાં પ્રભાતના સોનેરી પ્રકાશમાં
શિશુઓ ફૂલની જેમ ખૂલતાં-ખીલતાં હોય,
જ્યાં કૈંક ચારુલતાઓનાં છાનાં આંસુથી
એમની સાડીનો પાલવ ભીંજાતો હોય,
જ્યાં મનુષ્ય ભયશૂન્ય ચિત્તે
ઉચ્ચ શિરે વિચરતા-વિહરતા હોય,
'સબાર પિછે, સબાર નીચે’
'સબહારાદેર માઝે' જ્યાં પરમેશ્વર ધૂળમાં વસતા હોય,
ને ખેડૂતો ‘જેથાય માટિ ભેંગે કરે છે ચાષા-ચાષ',
મજૂરો ‘પાથર ભેંગે કાટ્છે જેથાય પથ',
ને જ્યાં 'સામ્રાજ્યેર ભગ્નશેષ પરે
ઓરા કાજ કરે',
જ્યાં આકાશ આષાઢના મેઘથી છવાયું હોય,
જ્યાં પદ્મા શાન્ત ગભીર ગતિથી વહેતી હોય,
જ્યાં વાયુ ખુલ્લાં ખેતરો વચ્ચે લહેરાતો હોય,
જ્યાં વર્ષાની સહસ્ર ધારથી ધરાની માટી મ્હોરતી હોય,
જ્યાં વસંત પણ રુદન કરતી હોય,
જ્યાં શાન્ત મૂગાં વૃક્ષો એક ચિત્તે ધ્યાન ધરતાં હોય,
જ્યાં બલાકાની પાંખની ‘હેથા નય અન્ય કોથા'
વ્યાકુલ વાણીની સાથે સમગ્ર વિશ્વ ઊડતું હોય,
કવિ! કહો, તમે ત્યાં ત્યાં નથી?
હા, કવિ! તમે ત્યાં ત્યાં છો.
હવે તો મારે આવા, ‘બસ, ફરવા આવેલા’ કવિ સાથે 'હાથ મેળવવાનું' (અને કેળવવાનું) સદ્ભાગ્ય પ્રાપ્ત કરવા માટે દિવ્ય તત્ત્વનો અભાર માનવાનો અને તેમના 'ઘડીક સંગ'ના સંસ્મરણોને વાગોળતા પૂછ્યા કરવાનું, ‘કવિ, તમે ક્યાં છો?’

