'વાચનમિલાપ' : વાચકો સમક્ષ ફરીથી પ્રસ્તુત થતી એક નાની શી 'મિલન-બારી'

‘વાચનમિલાપ’ નામે આ નવું સામયિક શરૂ થાય છે. શા માટે?

આજના આધુનિક યુગમાં, જ્યાં નજર કરીએ ત્યાં સ્ક્રીન અને સોશિયલ મીડિયાની અનંત દુનિયા આપણો મોટાભાગનો સમય અને માનસિક શ્રમ છીનવી રહી છે. બીજી બાજુ, ગુજરાતી ભાષામાં અસંખ્ય દૈનિકો, સાપ્તાહિકો અને સામયિકો અવિરત પ્રગટ થઈ રહ્યાં છે. પરંતુ, ભાગદોડભર્યા જીવનમાં એક સામાન્ય વાચક માટે આ બધા જ સ્રોત સુધી પહોંચવું અશક્ય બની ગયું છે. ખાસ કરીને ગુજરાતથી સાત સમંદર પાર કે અન્ય પ્રાંતોમાં વસતા આપણા ગુજરાતી ભાઈ-બહેનો માટે તો માતૃભાષાના આ વિશાળ વાચન ભંડાર સુધી પહોંચવું એક મોટો પડકાર છે.

સાંપ્રત સમયની એક ચોક્કસ અને અનિવાર્ય જરૂરિયાત પૂરી કરવાનો આ એક પ્રયાસ છે. એ જરૂરિયાત છે – આજના આ કોલાહલ વચ્ચે અઢળક વાચનસામગ્રીમાંથી વીણી વીણીને લાવેલા સાચા, સમૃદ્ધ અને વિચારશીલ વાચનની. ગુજરાતી ભાષાના અત્યારના પ્રગટ થતાં લખાણોને જન-જન સુધી પહોંચાડવાનો ‘એકત્ર ફાઉન્ડેશન’નો આ એક નમ્ર અને સમર્પિત પ્રયાસ છે.

દાયકાઓ પહેલાં જ્યારે મહેન્દ્ર મેઘાણીએ ‘મિલાપ’ દ્વારા આવો જ એક દીવાદાંડી સમાન સેતુ રચ્યો હતો, ત્યારે સમય જુદો હતો પણ ધ્યેય સમાન હતું. આજે એ જ ભાવનાને પુનર્જીવિત કરતાં, ‘એકત્ર ફાઉન્ડેશન’ના માધ્યમથી અમે ‘વાચનમિલાપ’ લઈને આવ્યા છીએ. અમારો હેતુ કોઈ એક પક્ષ, વાદ કે સંપ્રદાયની વફાદારીનો નથી, પરંતુ વિશ્વના સમસ્ત ગુજરાતી વાચકો માટે વિવિધ મુદ્રિત સામાજિક-સાહિત્યિક સ્રોતમાંથી શ્રેષ્ઠ લેખોને તારવીને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. 

આ પ્રકલ્પના સંપાદકની જવાબદારી આપણા સૌના પરિચિત એવા ડંકેશ ઓઝા સંભાળી રહ્યા છે. તેઓ માત્ર એક અનન્ય અને શોખીન વાચક જ નથી, પરંતુ વર્તમાન સામાજિક-રાજકીય પ્રવાહો અને સતત વાંચન સાથે અત્યંત સક્રિયપણે જોડાયેલા એક નિષ્ઠાવાન ચિંતક છે. તેમનું સંપાદન આ સામયિકને ચોક્કસપણે એક નવી ઊંચાઈ બક્ષશે.

આજના અતિવ્યસ્ત સમયમાં લોકો પાસે વાંચવા માટે પૂરતો સમય નથી હોતો અને આજના નવા યુગમાં લોકોને વાંચવા કરતાં સાંભળવાનું વધુ પસંદ આવે છે, તેથી અમે આ ઉત્તમ લેખોને શ્રાવ્ય (Audio) માધ્યમમાં પણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી વાચકો તેને સાંભળી પણ શકે.

આજના ધમાલિયા વાતાવરણ અને વ્યસ્ત જીવનની ભાગદોડ વચ્ચે અલગ-અલગ જગ્યાએ છપાયેલા ઉત્તમ લેખોનું આ સામયિક જાણે ગુજરાતી વાચકો માટે એક નાની શી ‘મિલન-બારી’ બની રહેશે.

સમૃદ્ધ વાચન થકી વિચારશીલ જીવન તરફની આ સફરમાં, આપ સૌ સાહિત્યપ્રેમીઓનો સ્નેહ અને સાથ જ અમારી મૂડી છે. આવો, શબ્દોના આ મિલનમાં સહયાત્રી બનીએ!

એકત્ર ફાઉન્ડેશન