એન રૅંડનો અર્થ-વેદ

Source: ફાર્બસ

‘ૐ અગ્નિમીળે પુરોહિતં’ આ મંત્રનો ઉચ્ચાર કરી શરુ થનાર ઋગ્વેદ રચાયાને હજારો વરસ થઈ ગયા. ચારે વેદો, એમના વિચારોનું વિવરણ કરનાર ઉપનિષદ, બ્રાહ્મણ વગેરે ગ્રંથો લખાયા એને પણ હજાર-બે હજાર વરસો થઈ ગયાં. મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે સ્મૃતિકારો સમાજજીવન અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ બતાવનાર ગ્રંથરચના કરી ગયા એ પણ ઘણી પુરાણી વાત થઈ ગઈ. એ પછીના કાળમાં "માનવી જીવનનો અર્થ શું?" "માનવ સમાજ કેવો થાય છે અને કેવો થવો જોઈએ?" "ધર્મ અને અર્થ વચ્ચેના પરસ્પર સંબંધો કેવા હોય?” વિગેરે વાતોની મૂળભૂત ચર્ચાનો પ્રયાસ થોડા પ્રમાણમાં હઝરત પયગંબર અને યેસૂ મસીહા વિગેરે ધર્મસંસ્થાપકો અને ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા તીર્થંકરોએ કરેલો, તથાપિ આ લોકોના વિચારો પર આધારિત લોકસમૂહો ન તો સમૃદ્ધ જીવન મેળવી શક્યા ન તો પૃથ્વી પર શાંતિનું સામ્રાજ્ય લાવી શક્યા. આધુનિક જમાનાનો રશિયન ધર્મ એટલે કે સામ્યવાદ પણ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપનાની વાતો કરતો કરતો પોતાના લોકો માટે કેવળ દરિદ્રતા અને યુદ્ધ-ભય આપી શક્યો. આમ કેમ થયું અને કેમ થઈ રહ્યું છે એનો ઉકેલ ન કરી શકનાર લોકો પછી અસ્તિત્વવાદ (Existencialism) અને શૂન્યવાદ (Nihilism)નો આશ્રય લઈ માનવી જીવનને કોઈ અર્થ છે જ નહીં, માનવી જીવન દુઃખમય જ છે, એવા નિષ્કર્ષોપ્રત પહોંચી ગયા.

આ બધા જ પુરાણા વિચારોને આહ્વાન આપીને એક નવી વિચારધારા શરૂ કરનાર, અર્થ-સંપાદન, અર્થ-સંવર્ધન અને અર્થ-વિનિમયના નવા સિદ્ધાંતો બતાવી નવો ‘અર્થ-વેદ' નિર્માણ કરનાર એન રૅંડ AYN RANDની જન્મભૂમિ રશિયા, પણ કર્મભૂમિ અમેરિકા. વી ધ લિવ્હિંગ (We the Living) આ એમની પહેલી નવલિકા ૧૯૩૬માં પ્રસિદ્ધ થઈ અને એમાના નવા વિચારોએ આ તરુણ લેખિકા તરફ દુનિયાનું ધ્યાન ખેંચી લીધું. ૧૯૪૩માં પ્રસિદ્ધ થયેલી નવલિકા ધી ફાઅુંટન હેડ (The Fountainhead)ની રચનાપદ્ધતિ, એમાં વર્ણવેલો વિષય અને એની પાત્રરચના એટલા બધા અનુપ હતા કે આ નવલિકાની બોલબાલા દુનિયામાં થઈ, એના પર ચિત્રપટ બન્યાં અને એન રૅંડનું નામ એક તત્ત્વચિંતક અને લેખક તરીકે બધા જ દેશોમાં પહોંચી ગયું. ૧૯૫૭માં પ્રસિદ્ધ થયેલી નવલિકા એટલાસ શગ્ઝ (Atlas Shrugged) તો તદ્દન ક્રાંતિકારક નિપજી અને અમેરિકા જેવા પ્રગત દેશોના અનેક ખ્યાતનામ અર્થતજ્ઞ (Economist) એન રૅંડના શિષ્ય થયા.

આ નવલિકામાં પ્રકટ થયેલા એમના વિચારોનું અધિક વિશ્લેષણ પછીનાં પુસ્તકોમાં થયું. વ્હર્ચૂ ઑફ સેલ્ફિશનેસ (Virtue of Selfishness), ઓબજેક્ટિવ્હ એપિસ્ટેમોલોજી (Objective Epistemology), ફોર ધી ન્યુ ઈન્ટેલેકચ્યુઅલ્સ (For the New Intellectuals), ધી ન્યૂ લેફ્ટ અર્થાત્ એન્ટી-ઇડસ્ટ્રીઅલ રિવ્હોલ્યુશન (The New Left; The Anti-Industrial Revolution), કેપિટાલિસમ (Capitalism), ફિલોસોફી - હૂ નીડ્સ ઈટ (Philosophy : Who Needs it), વગેરે પુસ્તકોમાં એમના વિચારો વિશેષ સ્પષ્ટ થતા ગયા અને એમાંથી નીકળ્યો એમના વિચારોને અનુસરનાર લોકોનો પંથ Objectivism ઓબ્જેક્ટીવ્હિસમ, ધી નાઈટ ઑફ સિકસ્ટીંથ જાન્યુઆરી (The Night of 16th January) નામનું એક નાટક પણ એમણે લખ્યું જેમાં સુદ્ધાં આ જ વિષય કેંદ્રસ્થાનમાં છે.

અનેક વ્યક્તિઓનો સમુદાય એટલે માનવ સમાજ કે માનવ સમાજનો એક ઘટક એટલે વ્યક્તિ, વ્યક્તિ માટે સમાજ કે સમાજ માટે વ્યક્તિ; વ્યક્તિગત જીવનની સમૃદ્ધિ માટે સમાજ રચના કે સમાજની સમૃદ્ધિ માટે જીવન, આવા મૂળગામી પ્રશ્ન પૂછનાર અને નિર્મિતિક્ષમ માનવી અસ્તિત્વનું વ્યક્તિ કેંદ્રિત ઉદ્ગાન કરી ‘વૈશ્યવૃત્તિનો નવો વેદાન્ત કહેનાર એમના તત્ત્વજ્ઞાનનો સાર એમના ધી ફાઉન્ટન હેડ (The Fountainhead) આ નવલિકાના બોધસૂત્રમાં મળી રહે છે. ‘એક માનવનો અહં એટલે (જ) માનવી પ્રગતિનો મૂળ પ્રવાહ’ (one man's ego is the fountainhead of human progress) આવો ક્રાંતિકારી મંત્ર રચનાર આ આધુનિક ઋષિ, વૈવસ્વત મનૂના પ્રમાણે જ એક સ્મૃતિકાર ગણી શકાય.

વૈદિક સ્મૃતિકારોની આંખોમાં કેવળ બ્રહ્મવૃત્તિ અથવા ક્ષાત્રવૃત્તિ માટે જ જગ્યા હતી. સાક્ષાત્કાર પર આધારિત પરલોકાન્વેષી સાધના માટે અથવા તો દિગ્વિજયની ઈચ્છા રાખી દેવતાઓની સહાય માટે એમની બધી મંત્રરચના થઈ. દુનિયાની દોલત અને જન્નતની હૂરો માટે ઇસ્લામનો નારો હતો શસ્ત્રબળ માટે, એટલે કે ક્ષાત્રવૃત્તિ માટે. જનકલ્યાણ, લોકસેવા વિગેરે ત્યાગવાદી વૃત્તિ પર આધારિત જૈન, બૌદ્ધ અને ખ્રિશ્ચન ધર્મોનો આધાર ‘નિર્વાણવાદી’ શુદ્ર વૃત્તિ પર એટલે કે મનુષ્ય સ્વભાવના નિષ્ક્રીય અંગ પર હતો. શૂદ્ર વૃત્તિની ચરમસીમા એટલે સામ્યવાદ. From each according to his ability to each according to his needs-નો વિચાર કહેનાર આ ધર્મ તમામ માનવ સમાજને રાજ્ય યંત્રનો ગુલામ બનાવવા માગે છે. બધા માનવોને શૂદ્રાતિશૂદ્ર કરી નાખે છે. બ્રહ્મવૃત્તિ કહે છે આ સંસારનો કોઈ અર્થ નથી. સંસાર એટલે માયા છે એટલે આ બધી ચીજોની પાર જઈ કેવળ મોક્ષપ્રાપ્તિ માટે સાધના કરવામાં જીવન વીતાવો. ક્ષાત્રવૃત્તિ એ લૂંટફાટનું સોજ્જવલ નામ. બીજો કોઈક ધન પેદા કરે અને તમે જઈ એનું હરણ કરો અને એ સંપત્તિ પોતાના માલિકીની કરો તો તમે ઘણા શૂરવીર અને તમારો જન્મ ભાગ્યશાળી થયો એવા વિચારોનું નામ ક્ષાત્રધર્મ. શૂદ્રવૃત્તિ કહે કે તમારે પોતે વિચાર કરવાનો નથી. તમારા ઉપરી કહે એ મુજબ ચૂપચાપ કામ કરતા રહેવું, પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ ભૂલી જઈ કેવળ સમૂહ માટે જીવવું, સમૂહનું ભલું તે જ મારું ભલું. એમ સમજી લેવું. આ બધી જ વિચારધારાઓમાં એક મોટી ઉણપ હતી અને છે. સમાજના અસ્તિત્ત્વ માટે તદ્દન પાયાભૂત જેવી 'વૈશ્ય-વૃત્તિ' એટલે કે ધનનિર્મિતી, ધનવૃદ્ધિ અને ધનવિનિમય આ ત્રિ-સુત્રી માટે એમાં કોઈ સ્થાન નથી. આ બધા જ વૈદિક આધુનિક શ્રુતિ-સ્મૃતિકારો વૈશ્ય વૃત્તિની કેવળ ઉપેક્ષા નહીં પણ ઉપહાસ કરે છે. 

માનવનું અસ્તિત્વ આનંદ માટે છે; માનવી જીવનનો ઉદ્દેશ્ય એટલે પોતાની અંગત ક્ષમતાની કમાલ મર્યાદા જાણવાના અનેકવિધ પ્રયત્નો; વ્યક્તિની નિર્મિતિ ક્ષમતાના આધાર પર સમાજ રચના થાય છે; નિર્મિતિક્ષમ માનવી મનને કોઈપણ બંધનમાં મુકનાર સમાજરચના થાય તો માનવી જીવન કેવળ દારિદ્ર્યમય જ નહીં પણ જંગલી થઈ જાય; માનવજીવનના બધા અનર્થોનું મૂળ 'અર્થ-વ્યવહાર'માં નથી પણ અર્થવ્યવહારનો મર્મ ન જાણવામાં છે; સંપન્ન જીવન અને સમૃદ્ધિનું નિર્માણ અકાર્યક્ષમ ભીરુ લોક કરી શકતા નથી, એના માટે ગરજ હોય છે ચિંતનશીલ અને મનઃશક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરનાર લોકોની; સમૂહ-હિત આ નામની કોઈ ચીજનું અસ્તિત્વ હોતું નથી, પ્રત્યેક વ્યક્તિનું હિત એ જ સમૂહ-હિત. અનેક સ્વતંત્ર વ્યક્તિ આપખુશીથી એકત્ર રહેતા હોય તેવા સમૂહનું નામ સમાજ. વ્યક્તિ વગર સમાજ બને જ નહીં વિગેરે વિચારોનો અવિષ્કાર એટલે એટલાસ શગ્ઝ (Atlas Shrugged) નવલિકા એન રૅંડનો આધુનિક 'અર્થ-વેદ.'

For the New Intellectuals, The Anti-Industrial Revolution, Capitalism, Objective Epistemology વિગેરે પુસ્તકોમાં પ્રગટ થયેલા નિબંધો એટલે આ અર્થ-વેદનાં ઉપનિષદો. The Night of 16th January એટલે આ અર્થ-વેદનું નાટ્ય-મય પુરાણ. Philosophy, Who Needs it જેવાં પુસ્તકો એટલે આ અર્થ-વેદના બ્રાહ્મણ ગ્રંથ.

સમૃદ્ધ અને શાંતિમય જીવન ચાહનાર સમાજ માટે એક જ પર્યાય છે અને તે એટલે ખરી ખરી ‘વૈશ્ય-વૃત્તિ'નો સ્વીકાર. વિચાર કરી શકનાર માનવી મન અને નૈસર્ગિક સાધન સામગ્રી આ બન્નેના સંયોગમાંથી પેદા થયેલી વસ્તુઓ, સેવાઓ અને કલ્પનાઓ એ જ સંપત્તિ, માનવી મનના સંયોગ વગર ધનનિર્મિતિ અશક્ય છે. આજ સુધી દુનિયામાં સંપત્તિ પ્રાપ્ત કરવા માટે લોકો માટે કેવળ બે જ રસ્તા બતાવવામાં આવ્યા, ચોરી અને ભીખ. બીજાની સંપત્તિ યા તો લૂંટી લેવાની યા તો એના માટે ભીખ માગવાની - દાન માગવાનુ. સંપત્તિ પ્રાપ્તિના આ બન્ને માર્ગો 'અ-સમાન' વ્યક્તિઓ વચ્ચે જ શક્ય છે. લૂંટફાટમાં જ્યારે એકનો વિજય થાય ત્યારે બીજાનો માત્ર પરાભવ શક્ય છે, સમાન વ્યક્તિમાં લૂંટ-ફાટ ન થાય. એ જ પ્રમાણે દાન આપનાર અને દાન લેનાર ભીખ માગનાર અને ભીખ લેનાર, આ બે વ્યક્તિઓ કોઈ પણ દિવસે એક લેવલ પર ન હોઈ શકે, દેનારનો હાથ ઉપર અને લેનારનો હાથ નીચે જ રહેવાનો. હા, વિપરીત તર્કવાદ (Preverted Logic)નો આધાર લઈ દાન લેનાર બ્રાહ્મણ પોતાને દાન આપનાર દાતા કરતા ઊંચો માને અને દાતાના મનમાં પણ એવો જ ભ્રામક વિચાર પેદા કરી શકે. છતાં પણ એ બન્ને સમાન તો નહીં જ થવાના. વૈદિક કાળથી લઈને આજ સુધીની સમાજ રચનાની બધી વિચારધારા સમાનતાની જગ્યાએ કેવળ અસમાનતા સર્જી શકી એનું રહસ્ય આ તત્ત્વજ્ઞાનોની મૂળ ઊણપમાં છે.

બે સ્વતંત્ર, સમાન વ્યક્તિઓમાં સંપત્તિનું આદાન-પ્રદાન માત્ર સ્વૈચ્છિક હોઈ શકે. મારી પોતાની વિચારશક્તિ, મનઃશક્તિ અને કાર્યશક્તિ વાપરીને હું જે કોઈ વસ્તુ અથવા સેવા નિર્માણ કરું એનું મૂલ્ય Value નક્કી કરવાનો અધિકાર કેવળ મારો એકલાનો છે. એ વસ્તુ અથવા સેવા હું બીજાને આપી એણે પેદા કરેલી વસ્તુ અથવા સેવા લેવા માગતો હોઉ તો એ સેવા અથવા વસ્તુ મને બીજી વ્યક્તિએ કરેલા મૂલ્યના સ્વેચ્છાથી લેવી પડે. મારું અને પેલી બીજી વ્યક્તિનું કરેલું મૂલ્યાંકન એકબીજાને પસંદ હોય તો વિનિમય exchange થાય નહીં તો એવા વિનિમય બળના આધાર પર કરાવવાનો કોઈને અધિકાર નથી. મારા હિતનું રક્ષણ કરવું એટલે સ્વાર્થ, એથી જ ‘સ્વાર્થી' રહેવામાં કાંઈ ખોટું નથી. યા તો એમ પણ કહી શકાય કે 'સ્વાર્થી' હોવું એ જ પ્રત્યેક માનવીનું કર્તવ્ય છે. જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સજાગ હોય એ જ બીજી વ્યક્તિના સ્વાર્થનો આદર કરી શકે. સમૂહ-હિતના નામે વ્યક્તિ-હિત પર આઘાત કરનાર લોકોને માત્ર પોતાના હિતની ચિંતા હોય છે. અને પોતાના આવા અતિક્રમણ કરનાર હિત માટે અને સ્વતંત્ર વ્યક્તિના હિતનું અપહરણ કરવા ખાતર 'સમાજ-હિત' નામની બુકાની પાછળ મોઢું છુપાવીને આ ‘સમાજપ્રેમી' સામ્યવાદીઓ ફરતા હોય છે. ભીરુ અને લોભી માણસો ધનનિર્મિતિ કરવાની બદલે ધનનિર્મિતિ કરનાર સ્વતંત્ર માનવીને બાનમાં રાખી બલપ્રયોગથીએ સંપત્તિ લૂંટી લેવા માગે છે, યા તો લાચાર બની ભીખની ઇચ્છા રાખે છે. સ્વતંત્ર વૃત્તિની કોઈપણ બે વ્યક્તિ ધનસંપત્તિનો કેવળ વિનિમય (Exchange) યા વ્યાપાર (Trade) કરી શકે છે. આ સ્વતંત્રતાના લીધે જ 'વૈશ્યવૃત્તિ' એ સર્વશ્રેષ્ઠ વૃત્તિ છે. આવી વૈશ્યવૃત્તિનું ઉદ્ગાન એ જ એન રૅંડના વેદાન્તનો સાર છે.

પૂર્વ યુરોપના દેશો અને રશિયામાં પાછલા ૮-૧૦ વર્ષોમાં થયેલી અભૂતપૂર્વ આર્થિક અને વૈચારિક ક્રાંતિનું સ્પષ્ટ નિરૂપણ કરવું હોય તો એન રૅંડના ‘અર્થ-વેદ'નો આધાર લેવો જ પડે. રાજકીય ગુલામગીરીનું મૂળ આર્થિક વ્યવહારનાં તત્ત્વજ્ઞાનમાં છે, આ વિચાર તો કાર્લમાર્ક્સ પણ કહી ગયો. પણ માર્ક્સવાદના પરાભવનું કારણ છે એણે કરેલી કારણ અને પરિણામની ગફલતમાં. માનવ સમાજ ગરીબ હોય તો ગુલામ થાય છે એવું એમનું શીખવણ. પણ એન રૅંડ કહે છે કે માણસનું મન ગુલામી સ્વીકારે છે એટલે એ ગરીબ થાય છે. ગરીબ રહે છે. પૂરા સમાજને સમૃદ્ધ થવું હશે તો એ સમાજની પ્રત્યેક વ્યક્તિને સ્વાતંત્ર્ય-આર્થિક વ્યવહારનું સ્વાતંત્ર્ય આપો. પહેલા વ્યક્તિ સમૃદ્ધ થવા દો, સમાજ એની મેળે જ સમૃદ્ધ થશે. એમ ન કરી જો તમે વ્યક્તિ પર વધુ ને વધુ બંધનો નાખવા જશો તો માત્ર એ વ્યક્તિ જ નહીં પણ પૂરો સમાજ ગરીબ, લાચાર અને હીન થતો જશે. સોવિયેત રશિયાએ સામ્યવાદનો આશ્રય લઈ નવી સમાજરચના કરવાનો પ્રયાસ ૭૦ વરસ સુધી કર્યો. લાખો લોકોનું બલિદાન લીધું, લાખો સંસાર હોમાયા, દેશની પૂરી પ્રજાનું સ્વાતંત્ર્ય પૂરી રીતે કચડી નાખ્યું અને દુનિયાની પ્રથમ નંબરની આર્થિક સત્તા મેળવવાનું સપનું લોકોની સામે નચાવ્યું. આજે એની દશા દયાજનક છે. સમાજવાદ અને લોક-કલ્યાણકારી રાજ્યના નારા ૪૦-૪૫ વરસો પ્રજાને સંભળાવનાર ભારત દેશમાં પણ ગરીબી હટવાને બદલે વધતી જાય છે, લોકોનું આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્ય રોજે એક ડગલું પાછળ જાય છે. એનાં ખરાં કારણ જાણવાનો સમય હવે આવેલો છે. એન રૅંડના અર્થ-વેદનો મંત્ર અપનાવવાનો સમય આવેલો છે. રાજ્ય-યંત્રણા (State)નું કામ છે કેવળ સમાજશાંતિ રાખવાનું; બે સ્વતંત્ર વ્યક્તિ વચ્ચેના વિનિમયમાં વિવાદ પેદા થાય તો પક્ષપાત કર્યા વગર, ગરીબ-અમીરનો વિચાર કર્યા વગર એનો ચુકાદો આપવાનું સ્વતંત્ર વ્યક્તિઓના ઐચ્છિક સમૂહને સંમત હોય એવા વ્યક્તિકેન્દ્રિત, વ્યક્તિલક્ષી, વ્યક્તિનિષ્ઠ કાયદા કરવાનું; ભીરુ, હીન, દીન, લોભી વ્યક્તિઓની જગ્યાએ શૂર, દિલદાર, સમૃદ્ધ અને સાચી 'સ્વાર્થી' વ્યક્તિઓનું નિર્માણ થાય એવી અર્થ-રચના, સમાજરચના, રાજ્યયંત્રણાનુ ઘડતર થવા દેવાનું.

કોઈપણ જ્ઞાન 'વેદ’(Revealed) હોતું નથી પણ સંપ્રાપ્ત (Achieved) હોય છે. તર્કના આધારે અને પ્રજ્ઞાના પ્રભાવે જ્ઞાનપ્રાપ્તિ કરીને વ્યક્તિવિકાસ માટેની ઘડેલી નવી અર્થ-વ્યવસ્થા એ એકવીસમી સદીનો અર્થ-વેદ હશે.

અને એની શરૂઆત ‘ૐ વ્યક્તિમીળે પુરોહિત'ના ઘોષથી થવાની છે.

એકત્ર ફાઉન્ડેશન