દેશભરમાં હોબાળો છે. રામ મંદિરનો. અને મંદિરના ગલ્લામાંથી ચોરીનો. કોઈ કહી રહ્યું છે-મોટાં-મોટાંઓને છોડી દેવામાં આવ્યા છે. નાના પર કાર્યવાહી થઈ રહી છે. સરકારનું કહેવું છે કે જે પણ દોષિત હશે. સજાથી નહીં બચી શકે.
રામ-ધનની ચોરી ક્યારથી ચાલી રહી હતી અને કેટલી થઈ ચૂકી. કોઈ નથી જાણતું. કોઈના ઘરેથી સોનું-ચાંદી મળી રહ્યું છે! કોઈના ઘરેથી મંદિરની તિજોરી જ જપ્ત થઈ રહી છે. તપાસમાં આખરે શું નીકળશે, ખબર નથી! જો કે આ મામલામાં કોણ, કોને બચાવી રહ્યું છે, કોણ કોને ફસાવી રહ્યું છે, તેનો પ્રમાણિક નિષ્કર્ષ તો સામે આવી શક્યો નથી પરંતુ રાજ્ય સરકારની જવાબદારી હોવી જોઈએ કે તપાસ કરી રહેલી એસઆઈટી પર કોઈ પણ પ્રકારનું રાજકીય કે વહીવટી દબાણ ન આવવા દે. બને તો તપાસ અદાલતની દેખરેખ હેઠળ કરાવવામાં આવે. દાનની રકમનું નિષ્પક્ષ અને સ્વતંત્ર ઓડિટ નહીં થાય, ત્યાં સુધી ચોરીની રકમનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હશે.
આ ઘટનાએ અયોધ્યાના મહત્ત્વને પણ મહદંશે પ્રભાવિત કર્યું છે. અયોધ્યાનું પ્રથમ વર્ણન અથર્વવેદમાં મળે છે. તેમાં અયોધ્યાને દેવતાઓની નગરી બતાવવામાં આવી છે : 'અષ્ટચકરા નવદ્વારા દેવાનાં પુરયોધ્યા. દેવતાઓની નગરી કદાચ એટલા માટે કે બ્રહ્માના માનસપુત્ર મનુએ તેની સ્થાપના કરી હતી. માનવામાં આવે છે કે આનું નિર્માણ ભગવાન વિષ્ણુની સલાહ પર સ્વયં દેવશિલ્પી વિશ્વકર્માની દેખરેખમાં થયું હતું. સ્કંદપુરાણ અનુસાર, અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર બિરાજમાન છે. એવું પણ કહેવાય છે કે અયોધ્યાને પહેલીવાર વિવસ્વત (એટલે કે સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુએ વસાવી હતી.
અયોધ્યા માટે આ પ્રકારની ઘટનાઓ નવી નથી. દેવતાઓની આ નગરીએ બળ, પ્રતાપ અને બલિદાન જોયા તો દુઃખોના પહાડ પણ વેઠ્યા. ઋષિતુલ્ય રાજા માંધાતાનું સામ્રાજ્ય જોયું તો રાજા હરિશ્ચંદ્રની સત્યવાદીતા અને વચનની ખાતર રાજપાટ ત્યાગી દેવાનું, ત્યાં સુધી કે મરી-પરવા સુધીનું બલિદાન પણ જોયું. ભાગતા રથના તૂટેલા પૈડામાં પોતાની આંગળી લગાવી દેનારો કૈકેયીનો ત્યાગ જોયો તો રામને વનવાસ મોકલનારા એ જ કૈકેયીના હઠની પણ સાક્ષી રહી. અયોધ્યાની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી તો આની પીડાનો પણ કોઈ પાર ન રહ્યો. પુત્ર વિયોગમાં દશરથનું પ્રાણ ત્યાગવું હોય કે ભરતનું રાજપાટ છોડીને પાદુકા પૂજન હોય. બધું જ આજે પણ અયોધ્યાની આંખોમાં ઝળહળે છે. લક્ષ્મણની 14 વર્ષની સેવા હોય કે ઉર્મિલાનો વિરહ, આ બધી ધ્રુજારી પેદા કરનારી પળો રહી. ત્રેતાથી કલિયુગ સુધીની અસંખ્ય વાર્તાઓ આ નગરીની છાતીમાં સમાયેલી છે. આમને એક-એક કરીને કાઢવી પોતાના જ દુ:ખોની સોય આંગળીના ટેરવાથી કાઢવા સમાન છે.
જે રામ મંદિરમાં આજે લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. તે જન્મભૂમિ માટે આશરે 450 વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. ક્યારેક સંતો અને ધર્મગુરુઓએ આ આંદોલનની કમાન સંભાળી તો ક્યારેક રાજકીય પક્ષો અને તેમના નેતાઓ પણ આમાં સામેલ થયા. માત્ર આ આંદોલનને કારણે કેટલીય સરકારો પત્તાના મહેલની જેમ પડી પણ ખરી અને એક અજીબ વાવાઝોડાની જેમ આવીને બની પણ ખરી. આંદોલનને પહેલીવાર ઉગ્રતા ત્યારે મળી, જ્યારે બાબરીના તાળા ખોલી દેવામાં આવ્યા. ખરેખર શાહબાનો પ્રકરણ પર ઉગ્ર થયેલી મુસ્લિમ લોબીના દબાણમાં જ્યારે કેન્દ્ર સરકારે ઉતાવળમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો તો મંદિર આંદોલનની ઉગ્રતા ચરમસીમા તરફ વધવા લાગી. સરકારે શાહબાનો પ્રકરણથી નિરાશ થયેલા હિંદુઓને ખુશ કરવા માટે બાબરીના બંધ પડેલા તાળા 1 ફેબ્રુઆરી 1986ના રોજ ખોલી નાખ્યા. કોને ખબર હતી કે બાબરીના બંધ તાળાની અંદર આંદોલનની આગ દબાયેલી પડી હતી. અશોક સિંઘલના શિલાપૂજન અભિયાને આંદોલનને ઘર-ઘર સુધી પહોંચાડી દીધું. આજે અશોક સિંઘલ જીવિત હોત તો તેમને કેવું લાગત, જેમણે પોતાનું આખું જીવન જ રામ મંદિર માટે સંઘર્ષ કરવામાં વિતાવી દીધું અને અંતમાં એવું કહેતા પ્રાણ ત્યાગી દીધા કે રામ મંદિર બનતા જોવું એ જ મારી અંતિમ ઈચ્છા છે!

