કોણ જાણે કેમ પણ વિજ્ઞાનીઓનું મને સદાકાળ આકર્ષણ રહ્યું છે. વિજ્ઞાનીઓનું નિસ્પૃહી જીવન, પ્રયોગશાળામાં કરેલો અથાગ પરિશ્રમ અને એ શોધ-સંશોધનની પાછળ રહેલો માનવકલ્યાણનો ભાવ પામવાની સતત જિજ્ઞાસા રહે છે. આથી તો વિશ્વકોશમાં વિજ્ઞાન-લેખકો પાસે વિજ્ઞાનીઓની એક શ્રેણી તૈયાર કરાવી. ભૌતિકશાસ્ત્રના વિદ્વાન શ્રી પ્રહ્લાદ છો. પટેલ પાસે ‘વિરલ વિજ્ઞાની ડૉ. સારાભાઈ'નું ચરિત્ર તૈયાર કરાવ્યું. ગુજરાતી ભાષામાં ગુજરાતના આ પનોતા પુત્રનું એ પહેલું જીવનચરિત્ર! એ પછી મેઘનાદ સહા, સત્યેન્દ્રનાથ બોઝ, જગદીશચંદ્ર બોઝ, સી.વી. રામન, હોમી ભાભા વગેરેનાં ચરિત્રોનું પ્રકાશન કર્યું. વિજ્ઞાનકોશની કલ્પના કરી અને અવકાશવિજ્ઞાનના કોશ (Encyclopedia of Space Science) વિશે આયોજન કર્યું.
એની પાછળનો હેતુ એ હતો કે એ વિજ્ઞાનીઓનું વિદ્યાતપ જનસમૂહ સુધી પહોંચે. એમનું વિદ્યાનિષ્ઠ જીવન, અવિરત પુરુષાર્થ અને માનવીય સંવેદનાનો સહુ કોઈને ખ્યાલ આવે. આને કારણે જ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના નિવાસ્થાનેથી થોમસ આલ્વા એડિસનની પ્રયોગશાળામાં પહોંચી ગયો! અમેરિકાના એડિસન વિસ્તારમાં મેન્લો પાર્કમાં આવેલા થોમસ આલ્વા એડિસનની પ્રયોગશાળાના સ્થળે પહોંચ્યો, ત્યારે ચિત્ત પર એડિસનની પ્રતિભા છવાયેલી હતી. પહેલો વિચાર એ આવ્યો કે વિશ્વમાં સૌથી વધુ પેટન્ટ (૧૯૦૩) ધરાવનાર આ મહાન સંશોધકને એની પહેલી શોધે શું શીખવ્યું હશે? ૧૮૬૩માં થોમસ આલ્વા એડિસન કૅનેડાથી અમેરિકા પાછો આવ્યો અને એ પછી અમેરિકાના આંતરયુદ્ધના કપરા સમયમાં એડિસનને એક શહેરમાંથી બીજા શહેરમાં ટેલિગ્રાફ ઑપરેટર તરીકે જવાનું થતું હતું. ટેલિગ્રાફના યંત્રને જોઈને આ મૌલિક વિચારક વિજ્ઞાનીને એકાએક નવો વિચાર જાગી ઊઠ્યો અને બોસ્ટન શહેરમાં ટેલિગ્રાફર તરીકેની કામગીરી કરતા એડિસને ઇલેક્ટ્રિકથી ચાલતું મતદાનની નોંધ કરતું યંત્ર શોધ્યું. એણે આ યંત્ર વેચવાનો પ્રયાસ કર્યો. આ માટે છેક અમેરિકાના વોશિંગ્ટન ડીસી પહોંચી ગયો અને અમેરિકન કૉંગ્રેસ સમક્ષ એણે આ યંત્ર વેચવાનો પ્રસ્તાવ મૂક્યો.
અમેરિકાની કૉંગ્રેસની કમિટીએ એની આ વાત સાંભળી; પરંતુ એ કમિટીના ચૅરમૅને અફસોસભર્યા અવાજે કહ્યું, "કૉંગ્રેસને ક્યારેય ઉપયોગમાં ન આવી શકે એવી આ શોધ છે. એમાં મતદાતાનું નામ રેકોર્ડ થતાં પિસ્તાળીસ મિનિટ લાગે છે. આટલા સમયમાં તો મતોમાં ઘણા ફેરફાર થઈ જાય એટલે આવા યંત્રનો કોઈ અર્થ નથી.”
આ વાત સાંભળીને યુવાન એડિસન અકળાઈ ઊઠ્યો. એણે એ દિવસે મનમાં ગાંઠ વાળી કે, “હવે એમાં જ સંશોધનો કરવા, કે જેને માટે વિશ્વ અત્યંત આતુર હોય.”
૧૮૬૮ની ૧૮મી ઑક્ટોબરે કરેલા મતગણતરીના યંત્રની શોધના પ્રસારમાં નિષ્ફળ ગયેલા થોમસ આલ્વા એડિસને બોસ્ટન શહેર છોડીને મહાનગર ન્યૂયોર્કમાં જવાનું નક્કી કર્યું. ત્યાં કદાચ પોતાના નસીબને આડે રહેલું પાંદડું ખસે! ૧૮૬૯માં ન્યૂયૉર્ક શહેરમાં આવ્યો, ત્યારે એની હાલત સાવ મુફલિસ જેવી હતી. દેવામાં ડૂબેલો એડિસન ન્યૂયૉર્કની શેરીઓમાં નોકરી મેળવવા માટે ઠેરઠેર ચક્કર લગાવવા માંડ્યો. એની પાસે જે કંઈ મૂડી હતી, એ ધીરે ધીરે ખર્ચાઈ રહી હતી અને ભૂખે મરવાનો સમય આવી ગયો.
આ સમયે એડિસને ગોલ્ડ ઈન્ડિકેટર કંપનીના એક કર્મચારીને સમજાવી- પટાવીને એની ઑફિસમાં રાત્રે સૂતો હતો. અહીં એ કંપનીનાં યંત્રોનો અભ્યાસ કરવા લાગ્યો. આ કંપની પોતાનાં યંત્રો દ્વારા ગ્રાહકોને સોનાના ભાવમાં થયેલી વધઘટની જાણકારી આપતી હતી. થોડા દિવસ બાદ એક વાર આ કંપનીનું યંત્ર બગડી ગયું અને ઘણા કર્મચારીઓએ એ યંત્ર સુધારવા પ્રયાસ કર્યો, પણ શક્ય બન્યું નહીં. એડિસન પાસે અસાધારણ અવલોકન શક્તિ હતી અને બગડેલાં ઉપકરણોને સુધારવાની તો કમાલની કળા હતી. એની એ ક્ષમતાની પહેલી ઝાંખી ગોલ્ડ ઈન્ડિકેટર કંપનીમાં થઈ અને એ કંપનીના મૅનેજરે એડિસનને ત્રણસો ડૉલરના પગારે સુપરવાઇઝરનું કામ સોંપ્યું.
યુવાન એડિસનનું મન યંત્રો પર પ્રયોગો કર્યા વિના બેસી રહે તેમ નહોતું. એણે શૅરબજારના ભાવો આપનારાં યંત્રો પર કામ કરવા માંડ્યું અને પરિણામે ટેલિગ્રાફીનું નવું યંત્ર શોધી કાઢ્યું. આ યંત્રની શોધની વાત દૂર દૂર સુધી ફેલાઈ. આ “સ્ટૉક ટીકર" નામના યંત્રને એ વેચવા ચાહતો હતો. એણે નક્કી કર્યું કે જરા હિંમત કરીને આના પાંચ હજાર ડૉલર માગવા; પરંતુ ત્રણ હજાર ડૉલર મળશે તોય ભયો ભયો! આમ ખરેખર કેટલા ડૉલર માગવા એ વિશે એનું મન દ્વિધા અનુભવતું હતું, એથી એણે કંપનીના માલિકને કહ્યું, "તમે આની કેટલી કિંમત આપવા માંગો છો, તે પહેલાં કહો.” ગોલ્ડ ઍન્ડ સ્ટૉક ટેલિગ્રામ કંપનીના માલિકે થોડો સમય વિચાર કરીને કહ્યું, “ચાલીસ હજાર ડૉલર આપું તો કેમ રહેશે?"
આટલી મોટી રકમ સાંભળીને એડિસન લગભગ પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠો. જાતને ટકાવી રાખવા માટે એણે ટેબલને જોરથી પકડી લીધું અને પછી ધીમેથી બોલ્યો, "ભલે, મને આ રકમ યોગ્ય લાગે છે." આટલી મોટી રકમ મળતાં ત્રેવીસ વર્ષના એડિસને નેવાર્કમાં પોતાની પહેલી વર્કશૉપ શરૂ કરી અને પછી એ એક પછી એક શોધો કરવા લાગ્યો.
એ જમાનામાં લાકડાનાં ટાઇપરાઇટર હતાં અને લોકો ટાઇપરાઇટર કરતાં હાથથી વધુ ઝડપથી લખી શકતા હતા, એ સમયે ૧૮૭૪માં એક ધાતુનો ભાગ ઉમેરીને એણે આ ટાઇપરાઇટરને ઝડપી બનાવ્યું. ૧૮૭૬ના એપ્રિલમાં ન્યૂજર્સીની મેન્લો પાર્ક પ્રયોગશાળા બાંધી અને એડિસને એમાં કામ કરવાનું શરૂ કર્યું. ઔદ્યોગિક સંશોધન માટેની આ પહેલી લૅબોરેટરી બની અને અહીં થોમસ આલ્વા એડિસને ચારસો જેટલી નવી પેટન્ટ નોંધાવી અને વીજળીનો બલ્બ, રેકૉર્ડેડ સાઉન્ડ અને ચલચિત્રોની શોધનું મેન્લો પાર્ક એ જન્મસ્થાન છે.
આ મહાન સંશોધકે કહ્યું, “જેને તમે જિનિયસ કહો છો, તેની પાસે માત્ર એક ટકો પ્રેરણા હોય છે અને ૯૯ ટકા પરિશ્રમ હોય છે.” થોમસ આલ્વા એડિસન સ્વયં આવા પરિશ્રમનું ઉદાહરણ બની રહ્યા. રાતદિવસ નવી નવી શોધો વિશે વિચાર કરતો એડિસન કલાકોના કલાકો સુધી પ્રયોગશાળામાં કામ કરતાં. માંડ ચારેક કલાકની ઊંઘ લેતો. એની પ્રથમ પત્ની મેરી સ્ટીલવેલ અને બીજી પત્ની મીન મિલર એ બન્ને એડિસનની આ આદત ૫૨ ગુસ્સે થતી. એક વાર ઘણા લાંબા સમય સુધી થોમસ આલ્વા એડિસન પ્રયોગશાળામાં રહ્યો. એમની પત્નીએ વારંવાર બોલાવ્યો, છતાં એ તો કામમાં જ ખૂંપેલો રહ્યો.
એણે એડિસનને કહ્યું, “રાતદિવસ કામમાં ડૂબેલા રહો છો, તો ક્યારેક તો વૅકેશન ભોગવો.”
થોમસ આલ્વા એડિસને વળતો પ્રશ્ન કર્યો, “પણ વૅકેશનમાં હું જાઉં ક્યાં?!"
એડિસનની પત્નીએ કહ્યું, “જ્યાં તમારું દિલ બહેલાય તેવી જ જગાએ.”
થોમસ આલ્વા એડિસને કહ્યું, “તો ચાલો, મારું દિલ જ્યાં ખૂબ બહેલાય છે એવી જગાએ જાઉં છું.”
આમ કહીને થોમસ આલ્વા એડિસન એને પોતાની પ્રયોગશાળા તરફ લઈ ગયા.
એડિસન આખા વર્ષ દરમિયાન માત્ર એક આખો દિવસ પોતાના કુટુંબ સાથે ગાળતા હતા. પ્રત્યેક ચોથી જુલાઈએ એ સઘળું કામ બાજુએ મૂકીને પોતાના પુત્રો અને પૌત્રો સાથે ઊજવતા હતા. પોતાની એ રજાને વધુ ને વધુ ઘોંઘાટમય આકર્ષક રીતે ઊજવાય તેવો પ્રયાસ કરતા હતા. એડિસનને ગણ્યાગાંઠ્યા મિત્રો હતા, કારણ કે એ કલાકોના કલાકો સુધી ખૂબ સખત મહેનત કરતા હોવાથી મૈત્રી માટે એમની પાસે કોઈ સમય બચતો નહોતો.
અઢળક કમાણી ધરાવતા થોમસ આલ્વા એડિસનને એક વાર એમના મિત્રોએ દારૂ પીવા માટે અતિ આગ્રહ કર્યો. એડિસને સ્પષ્ટ ઇન્કાર કર્યો, કારણ કે એના મનમાં સવાલ હતો કે, “દારૂ પીવાથી પોતાની માનસિક સર્જકતાની જાળવણી થશે કે પછી એની શક્તિઓ રૂંધાઈ જશે.”
કારણ એટલું જ કે એડિસનનું સ્પષ્ટ દર્શન હતું કે જિંદગીના અંત સુધી પોતાની સર્જકતા જાળવીને વૈજ્ઞાનિક શોધખોળોમાં રચ્યાપચ્યા રહેવું. મિત્રોએ શરાબ માટે અતિ આગ્રહ કર્યો, ત્યારે એડિસને કહ્યું, “મારે આ જીવનમાં મારી સમગ્ર માનસિક અને શારીરિક શક્તિઓનો પૂરો લાભ ઉઠાવવો છે. આમાં શરાબ મને બાધક લાગે છે" આથી એણે મિત્રોને ક્ષમા સાથે કહ્યું કે, “દારૂ પીને હું મારા ભવિષ્યને અંધકારમય બનાવવા માગતો નથી. શરાબ એ માનવતાનો શત્રુ છે અને હું એને ક્યારેય સ્પર્શ નહીં કરું.'
ફોનોગ્રામ, ફિલ્મ અને વીજળીના બલ્બ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ શોધો કરનાર એડિસન એમ કહેતો કે પહેલાં એના હૃદયમાં પ્રેરણા થાય છે, પછી ઊભરો જાગે છે અને ત્યારબાદ પોતાની શોધમાં રહેલી મુશ્કેલીઓનો ખ્યાલ આવે છે. એ સિદ્ધાંતપૂર્વક કામ કરે છે. કોઈ પણ શોધ માટે દીર્ઘ સમય, આકરી મહેનત અને થોડું સદ્નસીબ જરૂરી છે.
એડિસન ક્યારેય શબ્દો દ્વારા વિચારતો નહોતો; પરંતુ પહેલાં ચિત્તમાં એને ચિત્રરૂપે સર્જીને વિચાર કરતો હતો અને પછી એની શોધ માટેના પ્રયત્નોનો પ્રારંભ કરતો. એમાં એ એના સુષુપ્ત મનની શક્તિને કામે લગાડતો. પોતાના મન સમક્ષ ભાવિ શોધનું કલ્પિત ચિત્ર રાખતો અને ધીરે ધીરે એ પ્રમાણે પ્રયોગો કરીને એમાં આગળ વધતો હતો.
એડિસન જીવનભર એ સૂત્રને અનુસરતો રહ્યો કે, “આકરા પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી." જીવનમાં અતિ પરિશ્રમ કર્યો હોવા છતાં એણે ક્યારેય એની સંવેદનશીલતા ગુમાવી નહોતી. પોતાનાં સંશોધનો દ્વારા એ અઢળક સંપત્તિ મેળવી શક્યો હતો; પરંતુ સદૈવ એણે સંપત્તિના બદલે સર્જકતા પ્રતિ વિશેષ ધ્યાન આપ્યું અને માનવજાતને ઉપયોગી એવી સતત નવી નવી શોધો કરતો રહ્યો.
મહાન વિજ્ઞાનીની સંવેદનશીલતાનું એક સ્મરણ યાદ આવે છે. એ એક વાર રોજના નિયમ પ્રમાણે વિશાળ મેદાનમાં લટાર મારવા નીકળ્યા, ત્યારે એક ઘાયલ પક્ષીને તરફડતું જોયું. એમનું હૃદય કરુણાથી ઊભરાઈ ગયું. પ્રયોગશાળામાં જ સઘળો સમય વિતાવનારા આ વૈજ્ઞાનિક પક્ષીની સારવાર પાછળ લાગી ગયા. એમણે શહેરના કુશળ ડૉક્ટર પાસે જઈને પક્ષીને બચાવવા માટેના પ્રયત્નો કર્યા અને કેટલાક દિવસની સારવાર પછી એ પક્ષી હરતું ફરતું થયું; પરંતુ આ સમયગાળા દરમિયાન આ પક્ષીના બીજા સાથીઓ તો દક્ષિણ અમેરિકાના પ્રદેશમાં સ્થળાંતર કરી ગયા હતા.
એડિસને એક સરસ પેટી બનાવી. એમાં ઘાસની અને પાણીની વ્યવસ્થા કરી અને પછી દક્ષિણ અમેરિકાના એક શહેરમાં એ પેટી મોકલી. જે કંપનીને પેટી આપી હતી, એને ખાસ તાકીદ કરી કે તમે આ શહેરમાં જઈને પેટી ખોલીને એમાંથી આ પક્ષીને મુક્ત કરી દેજો. આ કામ પૂરું થયાનો સંદેશો પણ મને મોકલજો. એક્સપ્રેસ કંપનીએ આ વિજ્ઞાનીની ઇચ્છા પૂર્ણ કરી.
એડિસનના ચિત્તમાં પારાવાર સંવેનશીલતા હતી, તો અધ્યાત્મ-જગતમાં તમે જેને સાક્ષીભાવ કે સ્થિતપ્રજ્ઞતા કહો છો, તે પણ તમને નજરે પડશે.
૧૯૧૪ના ડિસેમ્બરની રાત્રે થોમસ આલ્વા એડિસનની લૅબોરેટરીમાં એકાએક આગ ફાટી નીકળી. થોડી ક્ષણોમાં એડિસનના જીવનની સઘળી મહેનત ભસ્મીભૂત થઈ ગઈ. આગથી તૂટીને નીચે પડેલા ભંગારની વચ્ચે ધુમાડાઓમાં હાથ વીંઝતો એડિસનનો ચોવીસ વર્ષનો પુત્ર ચાર્લ્સ પિતાને શોધતો હતો.
એણે જોયું તો એડિસન શાંતિથી સળગતી આગને જોતા હતા. એમની આંખમાં ચમક હતી અને પવનના સુસવાટામાં એમના શ્વેત વાળ અહીંતહીં ઊડતા હતા.
ચાર્લ્સ આગથી અત્યંત વ્યથિત હતો. વીસ લાખ ડૉલરથી પણ વધુ નુકસાન થયું હતું. વીમો માત્ર બે લાખ અને આડત્રીસ હજારનો હતો. વળી વિચારતો હતો કે એના પિતા એડિસન સડસઠ વર્ષના થયા છે. યુવાન હોત તો વાત જુદી હતી, પણ જે ઉંમરે આગમાં હોમાઈ ગયું તે ફરી ક્યાંથી સર્જી શકશે?
ઉદાસીન વિચારો કરતા ચાર્લ્સને પિતા એડિસનનો અવાજ સંભળાયો, “અરે ચાર્લ્સ, ક્યાં છે તારી માતા ?"
ચાર્લ્સે કહ્યું કે એને ખબર નથી કે અત્યારે એની માતા ક્યાં છે.
થોમસ આલ્વા એડિસને કહ્યું, “અરે શોધી લાવ એને! લઈ આવ અહીંયાં! જિંદગીમાં ક્યારેય એને આવું દૃશ્ય ફરી જોવા નહીં મળે."
બીજે દિવસ એડિસન એની ભસ્મીભૂત થયેલી લૅબોરેટરીને જોઈને બોલ્યો,
“આ વિનાશ પણ મૂલ્યવાન છે. આપણી બધી ભૂલો બળીને ખાખ થઈ ગઈ. ઈશ્વરનો આભાર કે હવે વધું નવેસરથી શરૂ થશે.”
ભીષણ આગ પછી ત્રણ અઠવાડિયાં બાદ એડિસને જગતને ગ્રામોફોનના શરૂઆતના સ્વરૂપ સમો ફોનોગ્રામ શોધીને આપ્યો.
એના દ્વારા સંગીત ઘેર ઘેર પહોંચતું થયું, પરંતુ એડિસન ઘણી મંદ શ્રવણશક્તિ ધરાવતા હતા. એમની આવી બહેરાશથી વાકેફ અને સજ્જને જરા મોટેથી કહ્યું, 'તમે ભગવાનને હંમેશાં ફરિયાદ કરતા હશો કે એણે તમને સઘળું આપ્યું, પણ શ્રવણશક્તિ આપી નહીં. અમેરિકામાં ઘેર ઘેર વગાડાતું સંગીત તમે સાંભળી શકતા નથી આ તે કેવી કમનસીબી?'
ત્યારે એડિસને કહ્યું, 'હું તો ભગવાનને ફરિયાદ કરવાને બદલે ધન્યવાદ આપું છું કે એણે મને શ્રવણશક્તિથી વંચિત રાખ્યો જેથી દુનિયાદારીની વાતો ઓછી સાંભળવા મળે છે અને એને કારણે સમયની વ્યર્થતામાંથી ઊગરી ગયો છું. વળી આને કારણે ભીતરની વાત સાંભળવા મળે છે અને એનાથી સમૃદ્ધ થઈને હું આ સ્થાને અને આટલી સિદ્ધિ મેળવી શક્યો છું.'
એડિસનની પ્રયોગશાળા સાધનો અને પુસ્તકોની દૃષ્ટિએ કોઈ પણ જાણીતી યુનિવર્સિટીઓની પ્રયોગશાળાની બરોબર કરી શકે એવી સુસજ્જ હતી.
એક વાર થોમસ આલ્વા એડિસન ટેલિફોન લઈને એના મુખ આગળ આનંદભેર કોઈ ગીત ગાતા હતા. એવામાં એમના અવાજના ધ્વનિથી ઉત્પન્ન થયેલાં આંદોલનોને લીધે એક પાતળી પોલાદની અણી તેણે પાછળ ધકેલવા પ્રયત્ન કર્યો, તો એ અણી એમની આંગળીમાં પેસી ગઈ.
આ જોઈને ઉત્કૃષ્ટ નિરીક્ષણશક્તિ ધરાવતા એડિસન વિચારમાં પડ્યા. એમણે વિચાર્યું કે જો હું પોલાદની અણીની ગતિની નોંધ લઉં અને પછી તેની ઉપર જ તેને પાછી ફેરવું તો આપણા બોલેલા શબ્દો તે જરૂર પુનઃ બોલી શકે. એક વાર બોલાયેલા શબ્દો પુનઃ સાંભળી શકાય. બસ, પછી તો આ વિચારને સાકાર કરવા માટે એડિસન એક પછી એક પ્રયોગો કરવા લાગ્યો અને એમાંથી ગ્રામોફોનનું યંત્ર બનાવ્યું. આંગળીમાં પોલાદની અણી પેસી ગઈ, એમાંથી ગ્રામોફોનની શોધ થઈ. કેવી મૌલિક દૃષ્ટિ અને કેવું વિશિષ્ટ સર્જન!
થોમસ આલ્વા એડિસન ૮૪ વર્ષની ઉંમરે ૧૯૩૧ની ૧૮મી ઑક્ટોબરે પ્રયોગશાળામાં જ અવસાન પામ્યા. એ સમયે એડિસનના ચિત્તમાં પુનર્જન્મ અંગે અનેક વિચારવમળો ઊઠ્યાં હતાં. એમણે પોતાનાં પાછલાં વર્ષોમાં ખબરપત્રીઓને ઘણી વાર કહ્યું હતું, “એ એક એવી પ્રયુક્તિની શોધ કરે છે કે જો જીવન પછી મૃત્યુ હશે, તો એનાથી એનો પુરાવો મળી જશે.” જોકે એમના અવસાન પછી એમની પ્રયોગશાળામાં એનું આ મૉડલ મળ્યું નહીં.
આપણે સંતો, રાજપુરુષો, સમાજસેવકો કે સર્જકોના જીવનમાં પ્રેરણા લઈએ છીએ. પણ આ વિજ્ઞાનીઓના જીવનસંઘર્ષ તરફ ક્યારે નજર કરીશું? થાક્યા વિનાનો પરિશ્રમ, નિષ્ફળતાને પચાવવાનો અભાવ, ભૌતિક જગતનાં આકર્ષણોથી વેગળા રહેવાની ક્ષમતા અને લક્ષ્ય પ્રતિ એકાગ્રતા – આવી ઘણી બાબતો પ્રેરક કે પથદર્શક બને તેવી છે. આજની પેઢીને આ મહાન વિજ્ઞાનીઓના જીવનકાર્ય તરફ નજર કરાવીશું ખરા?
થોમસ આલ્વા એડિસન વિશે એના સમકાલીન ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડે કહ્યું, “એનાં સંશોધનોએ લાખો માણસો માટે નવી રોજગારી ઊભી કરી. તમામ સુધારકો કે રાજપુરુષો કરતાં એડિસને ગરીબાઈ દૂર કરવા માટે વધુ મોટું કામ કર્યું છે.”